Budget 2025 Expectations: બજેટ 2025 થી પગારદાર કરદાતાઓને ઘણી અપેક્ષાઓ છે. કરદાતાઓ અને રોકાણકારો આવકવેરાની જોગવાઈઓમાં રાહત મળવાની આશા રાખી રહ્યા છે. કરદાતાઓની મુખ્ય માંગ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી હેઠળ કર કપાતની મર્યાદા વધારવાની છે. જે 2014થી 1.5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે કે, 80સી લીમીટ વધવાથી કરદાતાઓને ટેક્સમાં રાહત મળવાની સાથે સાથે તેઓ વધારે બચત અને રોકાણ પણ કરી શકશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં બજેટ 2025-26 રજૂ કરશે.

What Is Section 80c? સેક્શન 80સી શું છે?
કલમ 80સી એ આવકવેરા કાયદા 1961ની એક જોગવાઈ છે, જે કરદાતાઓને અમુક રોકાણ અને ખર્ચ પર કર કપાતનો લાભ આપે છે. કલમ 80સી હેઠળ કરદાતાઓને 1.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કર કપાતનો લાભ મળે છે, જે તેમની કૂલ કરપાત્ર આવક ઘટાડે છે.
- કલમ 80સી હેઠળ મળવા પાત્ર ટેક્સ ડિડક્શનની વાત કરીયે તો, આ કર કપાત માત્ર વ્યક્તિગત કરદાતાઓ અને હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) માટે જ ઉપલબ્ધ છે.
- કલમ 80સી હેઠળ ઉપલબ્ધ કર કપાત લાભ કંપનીઓ, ભાગીદારી પેઢીઓ અને અન્ય વેપાર ઉદ્યોગોને લાગુ પડતો નથી.
કલમ 80સી હેઠળ કર કપાતનો દાવો કેવી રીતે કરવો?
કરદતાતા કલમ 80સી હેઠળ કર કપાતનો દાવો કરી શકે છે. આ માટે કરદાતાએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે જરૂરી દસ્તાવેજો જેવા કે પેમેન્ટ રિસિપ્ટ અને રોકાણના ડોક્યુમેન્ટ પૂરા પાડવાના હોય છે. આઈટી રિટર્ન ફાઈલ થયા બાદ અને તે મંજૂર થયા પછી ટેક્સ ડિડક્શનને કારણે કૂલ કર પાત્ર આવક ઘટે છે. આમ કરદાતાને તેની આવક પર ઓછો ટેક્સ ભરવાનો આવે છે.
કલમ 80સી હેઠળ ક્યા રોકાણ પર કર કપાતનો લાભ
કરદાતાઓ વિવિધ બચત રોકાણ યોજનાઓમાં રોકાણ કરી કલમ 80સી હેઠળ ટેક્સ ડિડક્શનનો લાભ મેળવી કુલ કર જવાબદારી ઘટાડી શકે છે. કરદાતાઓ વિવિધ રોકાણ અને બચત યોજનાઓ જેવી કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NCC), યુનિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (ULIP), જીવન વીમા પ્રીમિયમ, હોમ લોન પેમેન્ટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર કલમ 80સી હેઠળ કર કપાતનો લાભ મેળવી શકાય છે.
આ પણ વાંચો | બજેટ 2025 FM નિર્મલા સીતારમણ આ તારીખે રજૂ કરશે, જાણો સમય અને મહત્વ
કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાની વાર્ષિક થ્રેશોલ્ડ લિમિટ વર્ષ 2014માં નક્કી કરવામાં આવી હતી. મોંઘવારી, ઉંચા વ્યાજદર મુજબ આ મર્યાદા બહુ નીચી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, કલમ 80સી હેઠળ કર કપાત મર્યાદા વધારીને 2.5 લાખ રૂપિયા કરવી જોઇએ. ટેક્સ ડિડક્શન લિમિટ વધવાથી કરદાતાઓ વધુ બચત કરશેઅને કર બોજ ઘટાડી શકે છે.





