Income tax bill 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં આવકવેરા બિલ, 2025 પાછું ખેંચ્યું અને કહ્યું કે સરકાર તેનું અપડેટેડ વર્ઝન રજૂ કરશે. સરકારે સિલેક્ટ કમિટી દ્વારા સૂચવેલા ફેરફારોને સમાવવા માટે આ કરવાનો નિર્ણય લીધો. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આવકવેરા બિલના અપડેટેડ વર્ઝનમાં સિલેક્ટ કમિટી દ્વારા સૂચવવામાં આવેલી મોટાભાગની ભલામણોનો સમાવેશ થવાની શક્યતા છે . આ નવું બિલ સોમવારે 11 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે
ગૃહની મંજૂરી બાદ તેમણે આવકવેરા બિલ પાછું ખેંચી લીધું હતું. સરકારે આ બિલ 13 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કર્યું હતું અને તેને અભ્યાસ માટે લોકસભાની સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું હતું. સિલેક્ટ કમિટીનો રિપોર્ટ 21 જુલાઈ 2025ના રોજ સદનમાં રજૂ કરવામાં આવ્યો હતો. આવકવેરા અધિનિયમ, 1961 ની જગ્યાએ આવકવેરા બિલ, 2025 લાવવામાં આવ્યું હતું.
આવકવેરા બિલ કેમ પાછું ખેંચવામાં આવ્યું?
સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે બિલના વિવિધ સંસ્કરણોને કારણે ભ્રમની સ્થિતિથી બચવા અને તમામ ફેરફારોને સમાવી લેતું સ્પષ્ટ અને અપડેટેડ વર્ઝન ઉપલબ્ધ કરાવવા માટે આવકવેરા બિલનું નવું સંસ્કરણ સોમવારે ગૃહમાં વિચારણા માટે રજૂ કરવામાં આવશે.
સિલેક્ટ કમિટીએ શું સૂચવ્યું હતું?
બૈજયંત પાંડાના વડપણ હેઠળની સિલેક્ટ કમિટીએ આવકવેરા બિલમાં અનેક ફેરફારો સૂચવ્યા હતા. લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ તરત જ આ ખરડાને ચકાસણી માટે પ્રવર સમિતિને મોકલવામાં આવ્યો હતો. 31 સભ્યોની સિલેક્ટ કમિટીએ આ બિલ પર કેટલાક સૂચનો કર્યા હતા.
આ પણ વાંચો – દેશનું સૌથી સસ્તુ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, 100 કિમી રેન્જનો દાવો, જાણો કિંમત અને ફિચર્સ
તેમણે નવા કાયદામાં ધાર્મિક-ચેરિટેબલ ટ્રસ્ટોને આપવામાં આવેલા અનામી દાન પર કર મુક્તિ ચાલુ રાખવાની પણ તરફેણ કરી હતી. વધુમાં કરદાતાઓને આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ પછી પણ કોઈ ચાર્જ ચૂકવ્યા વિના ટીડીએસ રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવામાં આવે તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું.
નવા બિલમાં શું હતું?
સરકારે નવા બિલમાં બિન-નફાકારક સંસ્થાઓ (NPOs)ને વિશુદ્ધ રીતે ધાર્મિક ટ્રસ્ટોને મળેલા ગુમનામ દાન પર ટેક્સ લગાવવાથી છૂટ આપી છે. જોકે બિલ મુજબ કોઈપણ ધાર્મિક ટ્રસ્ટ (જે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા જેવા અન્ય સખાવતી કાર્યો પણ કરે છે) દ્વારા મળેલા દાન પર કાયદા મુજબ ટેક્સ લગાવવામાં આવશે.