Aadhaar Authentication for Train Tickets : ટ્રેન ટિકિટ બુકિંગ માટે 1 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ થઇ રહ્યા છે. ઘણી વખત ખાસ કરીને તહેવારોમાં મુસાફરોને ટ્રેનમાં બેસવાની પણ જગ્યા મળતી નથી. ટ્રેનમાં મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે વિભાગ દ્વાર ટ્રેન ટિકિટ બુકિંગના નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જેનો હેતુ મુસાફરોને ટ્રેનમાં બેસવાની પુરતી જગ્યા મળે, વધારાની ભીડને નિયંત્રિત કરવાનો અને ટ્રેન ટિકિટ બુકિંગમાં કાળાબજારી રોકવાનો છે.
1 ઓક્ટોબરથી ટ્રેન ટિકિટ બુકિંગ રિઝર્વેશન કરવાના નિયમોમાં ફેરફાર થશે. રેલવે વિભાગે નિર્ણય લીધો છે કે, જે યુઝર્સનું આધાર વેરિફિકેશન થયું છે તેઓ જ ટ્રેન ટિકિટ રિઝર્વેશન શરૂ થયાના પ્રથમ 15 મિનિટમાં ઓનલાઇન ટ્રેન ટિકિટ બુક કરવાની શકશે. આ નિયમ IRCTC ની વેબસાઈટ અને મોબાઈલ એપ બંને પર લાગુ થશે. અત્યાર સુધી આ સુવિધા માત્ર તત્કાલ ટિકિટ માટે જ હતી, પરંતુ હવે તેને જનરલ રિઝર્વેશનમાં પણ લાગુ કરવામાં આવશે.
રેલવે વિભાહનું કહેવું છે કે, આ નિયમથી જેન્યુઅન પેસેન્જરો માટે ટ્રેન ટિકિટ મેળવવામાં સરળતા રહેશે અને ટિકિટ એજન્ટો માટે ટ્રેન ટિકિટની કાળાબજારી કરવી મુશ્કેલ બનશે. આ ઉપરાંત અધિકૃત એજન્ટો પર પ્રથમ દિવસના ટિકિટ રિઝર્વેશનની પ્રથમ 10 મિનિટ માટે ટ્રેન ટિકિટ બુક કરવા પર પ્રતિબંધ પણ ચાલુ રહેશે.
રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ લેનારાઓ માટેના જૂના નિયમો યથાવત રહેશે અને બુકિંગ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. રેલવે વિભાગે સ્પષ્ટપણે કહ્યું છે કે, આ નવો નિયમ ફક્ત ઓનલાઇન રિઝર્વેશન પર લાગુ થશે.
આ ફેરફારને અમલમાં મૂકવા માટે, સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમને ટેકનોલોજી તૈયારીઓ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે અને નવા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે તમામ ઝોનલ રેલ્વે અધિકારીઓને આદેશો મોકલવામાં આવ્યા છે. રેલવે વિભાગને આશા છે કે આનાથી નકલી બુકિંગમાં ઘટાડો થશે અને સામાન્ય પેસેન્જરોની ટ્રેન મુસાફરીના અનુભવમાં સુધારો થશે.
થોડા મહિના પહેલા રેલવે વિભાગે ટિકિટ એજન્ટો માટે નવા નિયમો પણ લાગુ કર્યા હતા. રેલવે એજન્ટો હવે તત્કાલ ટિકિટ બુકિંગ શેડ્યૂલ શરૂ થયાના પ્રથમ ૩૦ મિનિટ માટે ટિકિટ બુક કરાવી શકશે નહીં. આ સમય એસી ક્લાસ માટે સવારે 10 થી 10.30 વાગ્યા સુધી અને નોન-એસી ક્લાસ માટે સવારે 11 થી 11.30 ની વચ્ચે રહેશે.