(સૌમ્યેન્દ્ર બારીક) દેવાના ડુંગળ તળે દબાયેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે દેવાગ્રસ્ટ ટેલિકોમ કંપનીને તેના બાકી લેણાંની ચુકવણી માટે નવો પ્રસ્તાવ આપ્યો છે. નવા પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારે દેવા હેઠળ દબાયેલી વોડાફોન- આઇડિયાને બાકી વ્યાજના બદલામાં ટેલિકોમ કંપનીમાં હિસ્સો આપવાની ઓફર કરી છે. હવે આ કંપનીમાં કેન્દ્ર સરકાર પર શેરધારક બનશે. વોડાફોન-આઇડિયા પર સરકારનુ રૂ. 16,133 કરોડથી વધારે વ્યાજ બાકી છે. કંપનીએ કેન્દ્ર સરકારે આ નિર્ણય અંગે શેરબજારને પણ જાણકારી આપી છે. આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર વોડાફોન આઇડિયા કંપનીમાં લગભગ એક તૃત્યાંશ જેટલા હિસ્સાની માલિક બની જશે.
સરકારને વોડાફોન-આઇડિયાના કેટલા શેર મળશે?
ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા ઉપર કેન્દ્ર સરકારના વ્યાજ પેટેના બાકી લેણાંની કુલ રકમ 16,133,18,48,990 રૂપિયા છે. કંપનીને 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1613,31,84,899 ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા સૂચના આપવામાં આવી છે. આ શેરની ઇશ્યૂ પ્રાઇસ પણ 10 રૂપિયા હશે. આમ કેન્દ્ર સરકાર વોડાફોન આઇડિયા કંપનીમાં 35 ટકા હિસ્સો મળશે.
આટલા લાંબા સમય સુધી નિર્ણય કોણે અટકાવી રાખ્યો?
સરકારે સપ્ટેમ્બર 2021માં ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરી ત્યારથી વોડાફોન-આઈડિયા આ પગલાંની રાહ જોઈ રહી છે, જેથી સરકારના બાકી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ પરના વ્યાજને ઈક્વિટીમાં કન્વર્ટ કરી શકાય. આ યોજનાના અમલીકરણમાં વિલંબને કારણે મુશ્કેલીમાં મુકાયેલી ટેલિકોમ કંપનીઓને કેચ-22ની સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
આ નિર્ણયથી શું પરિવર્તન આવશે?
કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે કહ્યું કે, અમે માંગણી કરી હતી કે આદિત્ય બિરલા ગ્રૂપ કંપની ચલાવે અને આવશ્યક મૂડીરોકાણ કરે. પ્રમોટર બિરલા ગ્રૂપ આ પ્રસ્તાવ માટે સંમત થયા છે અને તેથી અમે પણ ડેટને ઇક્વિટીમાં કન્વર્ટ કરવા માટે સહમત થયા છીએ. અમે ઇચ્છીએ છીએ કે ગ્રાહકો માટે તંદુરસ્ત સ્પર્ધાની ખાતરી કરીને ભારત BSNLની સાથે ત્રણ ટેલિકોમ ખેલાડીઓનું બજાર બને.
વોડાફોન આઈડિયામાં કોની કેટલી ભાગીદારી છે?
આ ડેટને ઇક્વિટીમાં કન્વર્ટ કરવાથી સરકાર આ દેવાગ્રસ્ત કંપનીમાં 35 ટકા જેટલો હિસ્સો મેળવેશે. આ સાથે જ ટેલિકોમ કંપનીમાં મૂળ પ્રમોટરોનું શેરહોલ્ડિંગ પણ 74.99 ટકાથી ઘટીને 50 ટકા થઈ જશે.
વોડાફોન-આઇડિયા પર કેટલું દેવુ છે?
2 લાખ કરોડ રૂપિયાથી વધારે દેવાના બોજતળે દબાયેલા વોડાફોન આઇડિયા કંપનીએ સરકારને વ્યાજ પેટેના બાકી લેણાંની રૂ. 16,000 કરોડ વધારે રકમને ઇક્વિટીમાં કન્વર્ટ કરવાનું પસંદ કર્યું હતું