Ganesh Chaturthi 2023 And Ganesh Puja Vidhi Tips : વૈદિક હિંદુ પંચાગ મુજબ આ વર્ષે ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ તહેવાર દર વર્ષે 10 દિવસ સુધી ચાલે છે. ગણેશોત્સવમાં લોકો પોતાના ઘરમાં અને મહોલ્લામાં ભગવાન ગણેશજીની સ્થાપના કરે છે, 10 દિવસ તેમની પૂજા-પાઠ કરીને 11મા દિવસે વિદાય આપે છે. ગણેશોત્સવ દરમિયાન લોકો પોત-પોતાની રીતે પૂજા-અર્ચના કરીને ભગવાન ગણેશને પ્રસન્ન કરે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જે આ 10 દિવસો સુધી ભગવાન ગણેશની સાચા મનથી પૂજા કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ દુઃખમાંથી મુક્તિ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે જાણતા-અજાણતામાં થતી અમુક ભૂલો તમને મોંઘી પડી શકે છે. બાપ્પા પણ ગુસ્સે થઈ શકે છે. ચાલો જાણીએ ભગવાન ગણેશની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ…
ગણેશજીને ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓ અર્પણ ન કરવી
ભગવાન ગણેશની પૂજામાં ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલી વસ્તુઓ અર્પણ કરવી જોઇએ નહીં. કારણ કે એકવાર ચંદ્રે ગણેશના ગજ સ્વરૂપની મજાક ઉડાવી હતી, તેના કારણે ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે તેની સુંદરતા નષ્ટ થઈ જશે. આ કારણથી ભગવાન ગણેશને સફેદ ચંદન અને સફેદ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ.
ગણેશજીને હંમેશા અક્ષત ચોખા અર્પણ કરવા
ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. જો કે, જો તમે તુટેલા ચોખા અર્પણ કરો છો, તો બાપ્પા ગુસ્સે થઈ શકે છે. ઉપરાંત, તમારા જીવનમાં ગરીબી આવી શકે છે. આથી ગણપતિ દાદાની પૂજામાં હંમેશા અક્ષત એટલે કે આખા ચોખા જ અર્પણ કરવા જોઇએ.

કેતકીના ફૂલ ચઢાવવા નહીં
ભગવાન શંકરની જેમ ભગવાન ગણેશની પૂજામાં કેતકીના ફૂલ અર્પણ કરવાની મનાઇ છે. કારણ કે ભગવાન શિવે કેતકી ફૂલને શ્રાપ આપ્યો હતો. તેથી, આ ફૂલ તેમના પુત્ર ગણેશને ચઢાવવાની પણ મનાઈ છે. આમ કરશો તો બાપ્પા ગુસ્સે થઈ શકે છે.
આ પણ વાંચો | 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બની રહ્યા 3 શુભ યોગ, આ રાશિના જાતકોની કિસ્મત ચમકશે, ગણેશજીનો અપાર આશીર્વાદ મળશે
ગણેશજીની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવો નહીં
ભગવાન ગણેશની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ભગવાન ગણેશજીએ તુલસીને શ્રાપ આપ્યો હતો. તેથી ભગવાન શિવની જેમ ભગવાન ગણેશને તુલસી ન ચઢાવવી જોઈએ. જો તમે તુલસી અર્પણ કરશો તો ભગવાન ગણેશ ક્રોધિત થઈ શકે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.





