હિન્દુ ધર્મમાં સોનાને શુભ ધાતુ મનાય છે અને જ્યોતિષ શાસ્ત્રની રીતે તેનો ગ્રહો સાથે પણ સંબંધ હોવાનું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જેમ ચાંદીને ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેવી જ રીતે સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોવાનું મનાય છે. તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકો શોખમાં ઘણા બધા સોનાના દાગીના પહેરતા હોય છે, જે સારી બાબત નથી. કારણ કે સોનું દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતું. કેટલીક વખત સોનું પહેરવાથી તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોના માટે સોનું પહેરવું શુભ અને કોના માટે અશુભ છે…
ક્યા રાશિના લોકો માટે સોનું પહેરવું શુભ રહેશે?
જ્યોતિષશાસ્ત અનુસાર જે લોકોનો જન્મ મેષ, કર્ક, સિંહ અને ધનુ રાશિમાં થયો છે, તેમના માટે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે. બીજી તરફ, સોનું પહેરવાથી શરીરના અલગ-અલગ અંગો પર અલગ-અલગ અસરો થાય છે. ઉદાહરણ તરીકે, ગળામાં સોનું પહેરવાથી ગુરુ ગ્રહ કુંડળીના લગ્ન ભાવમાં તેની અસર દેખાડે છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ ઉચ્ચ સ્થિતિમાં અને સકારાત્મક હોય તો સોનું પહેરી શકાય છે. તેમજ જો કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તો પણ વ્યક્તિ સોનું ધારણ કરી શકે છે.
કઇ રાશિના લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ, મિથુન, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત જે લોકો સ્થૂળતાથી પરેશાન છે તેમણે સોનું પહેરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે ગુરુ ગ્રહની અસરને કારણે આ સમસ્યા વધુ વધી શકે છે. બીજી તરફ જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં બેઠો હોય તેવા લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી કોઈપણ મોટા નુકસાનથી બચી શકાય છે. જો તમે તમારા હાથમાં સોનાની વીંટી પહેરો છો, તો તમારે લોખંડની વીંટી અથવા અન્ય ધાતુ પહેરવાનું ટાળવું જોઈએ.
આ ઉપરાંત સોનાની વીંટી ખોવાઇ જવી, તેને અશુભ સંકેત માનવામાં આવે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા આ બાબતે સાવચેત રહેવું જોઈએ. બીજી તરફ જે લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેવા લોકોએ પણ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. જો તમે પુખરાજ ધારણ હોય તો તેને સોનાની ધાતુમાં જડાવીને પહેરી શકો છો.