Ramayan Serial Cast Arun Govil Dipika Chikhlia Sunil Lahri At Ayodhya: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશભરમાં ઉત્સવ જેવો માહોલ છે. દેશ અને વિદેશમાં રામ લલ્લાના અભિષેકના સાક્ષી બનવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન લોકપ્રિય ધાર્મિક ધારાવાહિક રામાયણના રામ, સીતા અને લક્ષ્મણને પણ ચાહકો યાદ કરી રહ્યા છે. લગભગ ત્રણ દાયકા બાદ પણ ભારતીયના મનમાં રામાયણના પાત્ર ચિરંજન છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા રામાયણના રામ,સીતા અને લક્ષ્મણ અયોધ્યા પહોંચ્યા હતા. તેમને જોઇને લોકો અત્યંત ભાવુક થઇ ગયા હતા.
રામાનંદ સાગરની લોકપ્રિય ધાર્મિક ધારાવાહિક રામાયણમાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લાહિરી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. રામાયણના લોકપ્રિય ત્રણેય કલાકારોની આ જોડી વર્ષો પછી એક સાથે જોવા મળી હતી. અભિનેતા અયોધ્યામાં મ્યુઝિક આલ્બમ ‘હમારે રામ આયેંગે’નું શૂટિંગ પણ કરી રહ્યા છે.

રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા, અરુણ અરુણ ગોવિલ અને સુનીલ લહેરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ત્રણેક કલાકારો એક સાથે ચાલીને આવી રહ્યા છે અને તેમની ચારેય બાજુ લોકોની ભીડ એકઠી થયેલી છે. આ નજારો કોઇ સપનાથી કમ નથી. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેના પર યુઝર્સ ભક્તિમય કમેન્ટ કરી રહ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટર વરિન્દર ચાવલાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના પર લોકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. મેઘના રાજેન્દ્ર પંડિત નામના યુઝરે લખ્યું છે કે, “કેટલા પુણ્ય કર્મ કર્યા હશે તેમણે આટલા લોકો સમ્માન સાથે સ્વાગત કરી રહ્યા છે.” અન્ય એક યુઝરે લખ્યું, “કોઈ શબ્દો નથી, બસ અમારી વર્ષોની તપસ્યા સ્વીકાર થઇ, જય શ્રી રામ.” તો કેટલાક લોકોએ તેને માત્ર દેખાડો ગણાવ્યો હતો.
જો કે ત્રણેય કલાકારો અયોધ્યા રામ મંદિર માટે ખૂબ જ ખુશ છે. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે, જેના માટે દીપિકા ચિખલિયા, અરુણ ગોવિલ, સુનીલ લાહિરી સહિત ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મીડિયા સાથે વાત કરતા અરુણ ગોવિલે રામ મંદિર વિશે કહ્યું, “અયોધ્યાનું રામ મંદિર આપણું ‘રાષ્ટ્રીય મંદિર’ બની શકે છે. જે સંસ્કૃતિ છેલ્લાં કેટલાંક વર્ષોમાં દુનિયામાં લુપ્ત થઈ ગઈ હતી, આ મંદિર ફરી એક સંદેશ આપશે અને આપણી સંસ્કૃતિને મજબૂત કરશે. આ એક વિરાસત છે, જેને સમગ્ર દુનિયા જાણશે, આ મંદિર પ્રેરણાનો સ્ત્રોત બનશે, તે આપણી આસ્થાનું કેન્દ્ર બનશે, તે આપણું ગૌરવ બનશે, તે આપણી ઓળખ બનશે. આપણી નૈતિકતા તમામે સ્વીકારવી જોઇએ.’
આ પણ વાંચો | અયોધ્યામાં અહીં છે દશરથ રાજાની સમાધિ, આ મદિરમાં પ્રભુ રામની નહીં પણ ભરત અને શત્રુઘ્નની પૂજા થાય છે; વાંચો રોચક કહાણી
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાની ખુશી વ્યક્ત કરતાં અરુણ ગોવિલે કહ્યું, “મને ખબર નહોતી કે ભગવાન રામનો અભિષેક આ રીતે થશે, આ આટલી મોટી ઘટના હશે, આ મારા જીવનની સૌથી મોટી ઘટના છે. લાગણી અને ઉર્જા એટલી બધી છે કે આખો દેશ, જ્યાં પણ ભગવાન રામ છે, ત્યાં માત્ર રામનું જ નામ લઈ રહ્યા છે. રામને માનનારાઓ માટે આ ખુશીનો માહોલ છે, આની કલ્પના પણ ન હતી, તેથી આપણે આવી ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ તે જાણીને ખૂબ જ આનંદદાયક છે.”