‘સારાભાઈ vs સારાભાઈ’માં જાસ્મિનનું યાદગાર પાત્ર ભજવનારી વૈભવી ઉપાધ્યાય (Vaibhavi Upadhyaya) આ દુનિયાને અલવિદા કહી ચૂકી છે. તેના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઈના બોરિવલીમાં આવેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. આ એક અકસ્માત હોવાથી પોલીસ કેસ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પહેલા જ વૈભવીની સગાઈ જય ગાંધી સાથે થઈ હતી, તે તેના ફિયાન્સ સાથે 15 દિવસના વેકેશન હિમાચલ પ્રદેશ ગઈ હતી. આ દરમિયાન અકસ્માત થયો અને તે ચાલી ગઈ. વૈભવી ઉપાધ્યાયના અકાળે મોતને પગલે તેમના ફેન્સને આઘાત લાગ્યો છે. તેવામાં આ અકસ્માતને લઇને વધુ વિગતો પ્રાપ્ત થઇ છે. તેના ભાઈ અંકિતે હવે શું થયું તેની વિગતો શેર કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આ સપ્તાહની શરૂઆતમાં કુલ્લુમાં જ્યારે કાર અકસ્માત થયો ત્યારે વૈભવીએ સીટ-બેલ્ટ પહેર્યો હતો. તે સમયે કાર તેના મંગેતર જય ગાંધી ચલાવી રહ્યા હતા.
અંકિતે ETimesને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની બહેનના મૃત્યુના સમાચારે તેને તોડી નાખ્યો અને તેના માતા-પિતાને તેના વિશે જણાવવું સૌથી મુશ્કેલ હતું. વૈભવીના માતા-પિતા તે સમયે ઓસ્ટ્રેલિયામાં હતા, અને તેઓ મુંબઈ પહોંચ્યા ત્યાં સુધી તેમના મૃત્યુ વિશે તેમને જણાવાયું ન હતું. તેઓ વૈભવીના અંતિમ સંસ્કાર સમયે અસ્વસ્થ હતા.
અંકિતે એ પણ સ્પષ્ટતા કરી કે, અનુમાન વિરૂદ્ધ તેણે તે સમયે સીટ-બેલ્ટ પહેર્યો હતો, જે ઈજાના નિશાન પરથી જાણી શકાય છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.
વૈભવીની ઇજાઓની વિગતો શેર કરતાં, અંકિતે શેર કર્યું કે તેની પાંસળીમાં ઇજો થઇ હતી અને તેના ફેફસાં અને લીવર ફાટી ગયાં હતાં. અંતે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત નીપજ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવે છે કે તેના શરીર પર ઈજાના નિશાન હતા જે દર્શાવે છે કે સીટ-બેલ્ટ પહેર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કુલ્લુ પોલીસે 25 મેના રોજ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કેવી રીતે વૈભવી જે કારમાં મુસાફરી કરી રહી હતી તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે તેનું મૃત્યુ થયું. પોલીસના જણાવ્યા અનુસાર વૈભવીએ કારમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેને માથામાં ઈજા થઈ જે જીવલેણ સાબિત થઈ.
આ પણ વાંચો: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નો વીડિયો થયો લીક
બીજી બાજુ બુધવારે સ્માશાન ઘાટ બહાર એકઠા થયેલા પત્રકારો સાથે વાત કરતા જેઠી મજેઠીયાએ જણાવ્યું હતું કે, વૈભવી તેના મંગેતર સાથે ડિસેમ્બરમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી હતી. તેમજ તેઓ હાલ હિમાચલ પ્રદેશમાં હતા અને તેની કાર વળાંક પર હતી અને રસ્તો ખૂબ જ સાંકડો હતો. તેઓ એક ટ્રક પસાર કરવા માટે રોકાયા. જ્યારે ટ્રક તેમની પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેણે કારને ટક્કર મારી હતી અને તે ખીણમાં પડી હતી. જયને બંને હાથમાં ઈજા પહોંચી હતી પરંતુ વૈભવી ખીણ તરફ બેઠી હોવાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. દુર્ભાગ્યપૂર્ણ રીતે તેણે સિટબેલ્ટ નહોતો પહેર્યો. તે નીચે પટકાઈ હતી અને તેને માથામાં વાગ્યું હતું, આ સિવાય સ્થળ પર જ તેને કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. ઘટના બાદ ઘણા લોકો ત્યાં ભેગા થયા હતા અને વૈભવીને બહાર કાઢી હતી પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.