14 મે 1657ના દિવસે પુરંદરગઢ પર સ્વરાજ્યના બીજા છત્રપતિ સંભાજી રાજાનો જન્મ થયો. સંભાજી રાજાએ નાની ઉંમરમાં કરેલા અલૌકિક કાર્યથી સંપૂર્ણ હિંદુસ્તાન પ્રભાવિત થયું. 32 વર્ષની આયુમાં તેમણે મુગલો સાથે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં તેઓ એક વાર પણ પરાજીત થયા નથી. તેથી ઔંરગઝેબને દીર્ઘકાળ સુધી મહારાષ્ટ્રમાં યુદ્ધ કરવુ પડ્યુ હતું. આથી સંપૂર્ણ ઉત્તર હિંદુસ્તાન મુક્ત રહ્યું.
આ સંભાજી મહારાજાએ કરેલું સૌથી મોટું કાર્ય છે. જો તેમણે ઔંરગઝેબ સાથે સંધિ કરી હોત અથવા તેનું આધિપત્ય સ્વીકાર્યું હોત તો બેથી ત્રણ વર્ષમાં તે ઉત્તર હિંદુસ્તાનમાં પહોંચી ગયો હોત. પરંતુ સંભાજી મહારાજા સાથેનાં સંઘર્ષને લીધે ઔંરગઝેબને 27 વર્ષો સુધી દક્ષિણ ભારતમાં સ્થિર રહેવું પડ્યું હતું. આથી ઉત્તરમાં બુંદેલખંડ, પંજાબ અને રાજસ્થાનમાં હિંદુઓની નવી સત્તાઓ સ્થાપિત થઈને હિંદુ સમાજને સુરક્ષા પ્રદાન થઇ હતી.
આવા મહાન વ્યક્તિ પર દિગ્દર્શક લક્ષ્મણ ઉટકર ફિલ્મ બનાવી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી તેઓ આ પ્રોજેક્ટ પર કાર્યરત છે. હવે ટેકનિકલ અને ક્રિએટિવ ટીમ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન કામ કરી રહી છે. છત્રપતિ સંભાજીના જીવન પર બનનાર ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર વિકી કૌશલની સંભાજીના કિરદાર માટે પસંદગી કરાઇ છે તેવા સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે. મળતી માહિતી અનુસાર વિકી કૌશલનો ચહેરો તથા સમગ્ર વ્યક્તિત્વ સંભાજી મહારાજની ભૂમિકા માટે બંધબેસતુ હોવાથી કોઇ લુક ટેસ્ટ વિના જ તેની પસંદગી કરવામાં આવી છે.
આ સાથે વિકી કૌશલને આ ભૂમિકા માટે ચાર મહિના સુધી ઘોડેસવારી તથા તલવારબાજીની તાલીમ આપવામાં આવશે. મહત્વનું છે કે, છત્રપતિ સંભાજી પોતાના ત્યાગ અને યુદ્ધની વિવિધ ટ્રીક્સ માટે જાણીતા હતા. લક્ષ્મણ ઉત્તેકરે કહ્યું હતું કે, સંભાજી મહારાજ કેવા મોટા યોદ્ધા હતા અને તેમણે મરાઠા સામ્રાજ્યની ચઢતીમાં કેવું પ્રદાન આપ્યું હતું તેની વિગતો મોટાભાગે અજાણી છે.