BAPS Karyakar Suvarna Mahotsav : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજાયો હતો. આ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS એક લાખ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહંત સ્વામી મહારાજ, ભારતના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખસ્વામીના જીવન ચરિત્રની 10મી આવૃત્તિનું મહંત સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. રંગબેરંગી આકર્ષક લાઇટિંગની સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકરોએ હાથમાં રિસ્ટ બેન્ડ પહેર્યા હતા. ત્રણ થીમ બીજ, વૃક્ષ અને ફળ પર કાર્યક્રમ યોજાયો હતો.
પીએમ મોદીએ વીડિયો સંદેશમાં શું કહ્યું
અમદાવાદમાં આયોજિત બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ રીતે સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સંતગણ અને અન્ય મહાનુભાવ અને વિશાળ સ્ટેડિયમમાં પધારેલા દેવીઓ અને સજ્જનો. કાર્યકર સુવર્ણ મહોત્સવના અવસરે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રણામ કરું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મ જયંતિ છે, હું તેમને નમન કરું છું.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાર્યકર સુવર્ણ મહોત્સવ 50 વર્ષની સેવાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. 50 વર્ષ પહેલા સ્વયંસેવકોની નોંધણી કરીને તેમને સેવા કાર્ય સાથે જોડવાનું શરૂ કર્યું. તે સમયે કાર્યકર્તાઓની નોંધણી વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું, આજે એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે લાખો BAPS કાર્યકર્તાઓ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે સેવા કાર્યમાં રોકાયેલા છે, જે કોઈપણ સંસ્થા માટે એક મોટી સિદ્ધિ છે.
આ પણ વાંચો – બીએપીએસ સુવર્ણ કાર્યકર મહોત્સવની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
પીએમ મોદીએ કહ્યું કે આજકાલ આખી દુનિયામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાનની ચર્ચા થઈ રહી છે. આ દિશામાં તમારા પ્રયાસો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુવા વિચારોને નવી તકો પૂરી પાડવા માટે જાન્યુઆરીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’નું પણ આયોજન કરવામાં આવશે.

આ મહોત્સવમાં હાજર રહેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આજે જે પ્રસંગ જોયો જે ભાગ્યે જ વિશ્વમાં ક્યાંય મેં જોયો હશે.હું વિશ્વાસ સાથે કહું છું કે દુનિયામાં એક લાખથી વધુ લોકોનું સંગઠન ક્યાંય જોવા નહીં મળે.શાસ્ત્રીજી મહારાજથી શરૂ કરી મહંત સ્વામી સુધીની ગુરુ પરંપરાને મનથી પ્રણામ કરું છું.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં અમદાવાદ-ગાંધીનગરના 30 હજાર, વડોદરાના 10 હજાર, સુરતના 4 હજાર, રાજકોટના 2600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી 1 લાખ કાર્યકરો અમદાવાદ પહોંચ્યા હતા.
અમદાવાદ ટ્રાફિક પોલીસના જાહેરનામું
અમદાવાદ ટ્રાફિક પોલીસના જાહેરનામું પ્રમાણે આ કાર્યક્રમ સાબરમતી જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી, મોટેરા સુધીનો રોડ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે નાના ચિલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે.