Congress National Conference : ગુજરાતમાં આશરે 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો મંગળવારે પહેલો દિવસ હતો. જ્યારે આજે બુધવારે બીજો દિવસ છે. મંગળવારે સરદાર સ્મારકમાં CWCની બેઠક મળી હતી. અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જ્યારે આજે અમદાવાદમાં સાબરમતીના કિનારે બીજા દિવસની બેઠક થશે.આ બેઠકમાં કોંગ્રેસના 3000થી વધારે નેતાઓ હાજર રહેશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે દેશના કોંગ્રેસ નેતાઓનો જમાવડો થશે અને પાર્ટીના એજન્ડા ઉપર ચર્ચા કરશે. રાષ્ટ્રીય અધિવેશનમાં એક બાદ એક ઠરાવ પર ચર્ચા કરવામાં આવશે. એટલું જ નહીં. ગુજરાત કોંગ્રેસ અંગે મોટા ફેરફારો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે.
સવારે 9.30 વાગ્યે બેઠક શરુ થશે
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની બેઠકનો સવારે 9-30 કલાકે પ્રારંભ થશે. સૌપ્રથમ ફ્લેગ હોસ્ટિંગ થશે, ત્યારબાદ એજન્ડા પર ચર્ચા થશે. એક બાદ એક ઠરાવ પર ચર્ચા થશે. જે નેતાને વિષય પર અભિપ્રાય આપવો હોય તે ચિઠ્ઠી મોકલીને મોકલશે તો તેને તક આપવામાં આવશે.
અધિવેશનના પ્રથમ દિવસે શું થયું
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના આંગણે બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના કાર્યક્રમમાં પ્રથમ દિવસે મંગળવારે સવારે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સાંજના સમયે સાબરમતી આશ્રમ પ્રાર્થના સભા અને મોડી સાંજે રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.





