Fake Ghee Raids : જુનાગઢ અને વલસાડ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એ દરોડો પાડી મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન ભળસેળયુક્ત ઘી ની વિવિધ બ્રાન્ડસ ના કુલ 10 નમુનાઓ લેવામાં આવ્યા અને આશરે 2600 કિલોગ્રામ ઘી નો જથ્થો, એટલે કે જેની અંદાજીત કિમત રૂ. 10,35,000 થવા જાય છે, તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર કચેરીને જૂનાગઢ ખાતે ઘી માં ભેળસેળ કરવામાં આવે છે, તેવી બાતમી મળી હતી જેને પગલે શુક્રવારે તંત્ર દ્વારા રેડ પાડવામાં આવી હતી, અને નીચી ગુણવત્તા વાળું ભેળસેળ યુક્ત ઘી નું ઉત્પાદન કરી પોતાની “વ્રજ મટુકી” અને “શ્રી કાઠીયાવાડી ગીર બ્રાન્ડ” થી અલગ અલગ પેકીંગમાં પેક કરી વેચતી કંપનીમાં તપાસ હાથ ધરી હતી, અને મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ મામલે કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતુ કે, રાજ્યના નાગરિકો ની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે. આ અંતર્ગત જુનાગઢ અને વલસાડ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

જુનાગઢમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડો
તેમણે વિગતે માહિતી આપતા કહ્યું કે, બાતમી ના આધારે અમે તા. 20-10-23 ના રોજ ગાંધીનગર સ્ટેટ ડેઝીગ્નેટેડ ઓફિસર કે. આર. પટેલ અને ફુડ સેફ્ટી ઓફિસર તથા જૂનાગઢ વર્તુળ કચેરી ના ડેઝીગ્નેટેડ ઓફિસર એચ. એમ. દવે અને ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત પણે સફળ રેડ કરી શંકાસ્પદ ઘી ના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે તપાસ દરમ્યાન પેઢી ના માલિક કમલેશકુમાર જયંતીલાલ સોઢાની પેઢી મે. જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, મેઘાણી એસ્ટેટ, બડાણી કોર્પોરેશન, મુ. વડાલ, જી. જુનાગઢ ખાતે તેઓ વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા જણાયેલ હતું.
અસલી ઘી લાવી ભેળસેળ કરી “વ્રજ મટુકી” અને “શ્રી કાઠીયવાડી ગીર બ્રાન્ડ” થી નકલી ઘી વેચતા
કમિશનરે કહ્યું કે, તપાસ દરમ્યાન શંકાસ્પદ “અમુલ ઘી” તથા “કૃષ્ણા ઘી” ના 15 કિગ્રા પેકિંગ માં જથ્થો જોવા મળેલ હતો, જેનું બીલ રજુ કરેલ ન હતું પરંતુ નિવેદન થી આ ઘી તેઓ મે. જી.પી.એસ. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, મુંબઈ થી વગર બીલે ખરીદ કરેલ હોવાનું જણાવેલ હતું, જેમાં તેઓ પામોલીન ઓઇલ, વનસ્પતિ તથા બીજી હલ્કી કક્ષાના પદાર્થોની ભેળસેળ કરી નીચી ગુણવત્તા વાળું ભેળસેળ યુક્ત ઘી નું ઉત્પાદન કરી પોતાની “વ્રજ મટુકી” અને “શ્રી કાઠીયવાડી ગીર બ્રાન્ડ” થી અલગ અલગ પેકીંગમાં પેક કરી 1 લિટરના રુ. 250/- લેખે તેઓ મોટા ભાગે મહારાષ્ટ્ર અને રાજસ્થાનનાં વિસ્તારોમાં અને મહદ અંશે સૌરાષ્ટ્ર અને કચ્છ માં વેપાર કરતા હોવાનું જણાવી આવેલ.

જુનાગઢથી 7 લાખથી વધુના નકલી ઘીનો જથ્થો જપ્ત
તમને જણાવી દઈએ કે, સ્થળ પર મેજીક બોક્ષ દ્વારા ઘી ની ગુણવત્તા અંગેની ચકાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટિ એ ઘી માં ભેળસેળ ની પ્રબળ શંકા ના આધારે પેઢીના માલિક કમલેશકુમાર જયંતીલાલ સોઢા પાસેથી તેમની હાજરીમાં ઘી ના કુલ છ (6) નમુના ઓ લેવામાં આવેલ તથા બાકીનો આશરે 2100 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિમત રૂ. 7 લાખ થવા જાય છે, તે જપ્ત કરવામાં આવેલ છે.
આ સિવાય વલસાડ જિલ્લામાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડેઝીગ્નેટેડ ઓફીસર ડી. એ. નાઇક તથા ફૂડ સેફ્ટી ઓફીસર્સ દ્વારા ઉમરગામ તથા તાપી તાલુકાઓ માં ચરણામૃત ડેરી, જી.આઇ.ડી.સી, ઉમરગામ, વલસાડ થી પેઢીના માલિક મિતુલભાઇ દેવશીભાઇ ધામેલીયા પાસેથી તેમની હાજરીમાં “રંગ મધુર ગાયનું ઘી” કે જે નીચલી ગુણવત્તા વાળા બટરમાં થી બનાવતા હોવાનું જાણવા મળ્યું હતુ.

આ પણ વાંચો – જાફરાબાદ : કુવામાં ખાબકયો દીપડો, જુઓ VIDEO – વન વિભાગે આ ટેકનીકથી રેસક્યુ કરી જીવ બચાવ્યો
વલસાડમાં 3 લાખથી વધુનો નકલી ઘીનો જથ્થો જપ્ત
આમ, ઉત્પાદિત “રંગ મધુર ગાયનું ઘી” ના કુલ 2 નમુનાઓ લઇ આશરે 500 કિ.ગ્રા. જેટલો જથ્થો કે, જેની અંદાજીત કિંમત રુ. 3 લાખ 13 હજાર થવા જાય છે, તે જપ્ત કરવામાં આવ્યું છે. આ સિવાય અન્ય પેઢી જશનાથ ટ્રેડર્સ, કાચીગામ, તા. વાપી, વલસાડ ખાતે થી પણ પેઢીના માલિક સુરેશકુમાર સોનારામ સરન ની હાજરીમાં “સરન પ્રિમિયમ ગાયનું ઘી” તથા “વાસ્તુ એગમાર્ક ઘી” ના કુલ 2 નમુનાઓ લઇ બાકી રહેલ 33 કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત રુ. 21,000 થવા જાય છે, તે જપ્ત કરવામાં આવેલ છે.
કમિશ્નરે માહિતી આપતા કહ્યું કે, આ ખાદ્ય પદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે, તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.