કોરોના વાયરસ બાદ હવે H1N1 ઇનફ્લુએન્ઝા વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધી H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી બે લોકોના મોત થયાની પુષ્ટિ થઇ છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શનિવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં H3N2 ઇનફ્લુએન્ઝા વાયરસના ત્રણ કેસ નોંધાય છે, જ્યારે આ વાયરસના સંક્રમણથી એક મૃત્યુ નોંધાયું નથી.
તેમણે ઉમેર્યું કે, હાલના સમયે રાજ્યમાં H1N1 વાયરસ એટલે કે સ્વાઇન ફ્લૂના 77 કેસ નોંધાયા છે.
જો કે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વાયરલ તાવ સહિત ફ્લૂના કેસોની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. સિઝનલ ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે 13 સરકારી અને 60 ખાનગી લેબોરેટરીમાં મફત ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે.
હાલ સરકારી દવાના વેરહાઉસમાં કુલ 2.74 લાખ ઓસેલ્ટામિવીર દવા ઉપલબ્ધ છે એવું જણાવતા તેમણે ઉમેર્યું કે, આરોગ્ય કર્મચારીઓને પણ ફલૂની વેક્સીન માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસના ટોપ - 3 સમાચાર H3N2 ઇન્ફ્લુએન્ઝાથી બે લોકોના મોત, જાણો આ વાયરસના લક્ષણો અને બચવાના ઉપાયો H3N2: આ વાયરસ શું છે અને તેને કેવી રીતે ફેલાતો અટકાવી શકાય? હેલ્થ અપડેટ: ફ્લૂની મોસમમાં વાયરલ તાવથી કેવી રીતે બચી શકીએ? જાણો અહીં
કોરોના સંક્રમણના કેસો વધ્યા
H3N2 ઇન્ફ્લુએન્ઝાના વાયરસના કેસો વધવાની સાથે સાથે કોવિડ-19 વાયરસના પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાતા ગુજરાતમાં હાલમાં કોવિડ-19 સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા વધીને કુલ 181 થઇ ગઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં બે દર્દીઓ – એક 67 વર્ષીય મહિલા ઓક્સિજન પર છે અને એક 18 મહિનાના બાળકને કોરોના વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બંને દર્દીઓની સ્થિતિ સ્થિર છે.