Vikram Thakor: ગાંધીનગર વિધાનસભામાં કલાકારોને આપેલા આમંત્રણ મામલે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને માઠું લાગ્યું હતું, જે બાદ તેમણે મીડિયા સમક્ષ ઠાકોર સમાજના કલાકોરોની અવગણના મામલે પોતાનો ઊભરો ઠાલવ્યો હતો. જે બાદથી સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોરના ફેન્સ પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે. ત્યાં જ આવતીકાલે 16 માર્ચના રોજ કુડાસણ રોડ પર આવેલા તુલસી પાર્ટી પ્લોટ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેને લઈ ગુજરાત આખામાં ચર્ચાઓ ચાલી રહી છે.
16 માર્ચે વિક્રમ ઠાકોરની હાજરીમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યાં જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિક્રમ ઠાકોર રાજકારણમાં ઉતરવું કે નહીં તે વિશે કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે. જોકે અગાઉ વિક્રમ ઠાકોરે રાજકારણમાં ઉતરવાને લઈ એક નિવેદનમાં કહ્યું હતું કે, સમય આવશે ત્યારે નિર્ણય લઈશ.
હવે વિધાનસભામાં કલાકારોને આપેલા આમંત્રણ મામલે ઠાકરો સમાજના કલાકારને બાકાત રાખતા આ મુદ્દાએ રાજકીય રૂપ ધારણ કર્યું છે. ઠાકોર સમાજના આગેવાન નવઘણજી વિક્રમ ઠોકરાના સમર્થનમાં આવ્યા છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સાથે સાથે ઠાકોર સમાજ વિક્રમ ઠાકરોનું સન્માન કરશે એવી જાહેરાત કરી છે. નવઘણજીએ કહ્યું કે ટૂંક સમયમાં ઠાકોર સમાજ વિક્રમ ઠાકોરનું સમાજ રત્ન એવોર્ડથી સન્માન કરશે.
ગુજરાત સરકારમાં ઠાકોર સમાજની અવગણના!
વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ‘ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઇ શકે, કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણાં સમયથી જોઇ રહ્યો છું કે ઘણાં બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી.’
ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે, મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું છે. કલાકારને નાત-જાત નથી હોતી, સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ. શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા. સરકારી ઇવેન્ટોમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ નથી મળતું. સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ. ઠાકોર સમાજ સહિત દરેક સમાજના ચાહક વર્ગ છે.’
વિક્રમ ઠાકોરને પીએમ મોદીએ કરી હતી ઓફર
રાજકારણમાં આવવા અંગે વિક્રમ ઠાકોરે કહ્યું કે, આ ખેસ ભાજપ કે કોંગ્રેસનો નથી, રામદેવ પીરનો ખેસ છે. હું કોઈ ભાજપ કે કોંગ્રેસ સાથે નથી. હું રાજકારણમાં આવવાનો નથી. નરેન્દ્ર મોદીએ 2007 માં મને બોલાવ્યા હતા અને ત્યારે પણ ઓફર આપી હતી. મુખ્યમંત્રીને ખબર જ નહીં હોઈ શું થઈ રહ્યું છે. પરંતું મારો સમાજ કહેશે તે પ્રકારે હું આગળ વધીશ. અલ્પેશ ઠાકોરે મને મુખ્યમંત્રી પાસે લઈ જવા માટેની વાત કરી છે. બીજા કલાકારોને પણ બોલાવવાની વાત કરી છે.
તમને જણાવી દઈએ કે, આ મામલે અગાઉ ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.