Happy Birthday Gujarat : આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. મહાગુજરાત આંદોલનના પ્રતાપે બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગલા પડ્યા અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા છે. તેની સાથે જ મરાઠી ભાષી મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યુ હતુ. આમ આજે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.
ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું.
આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા. એક ભાગને ગુજરાત અને બીજાને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.
ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વખત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે. ઉલ્લખનિય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.
કોણ હતા રવિશંકર મહારાજ?
રવિશંકર વ્યાસ (૧૮૮૪–૧૯૮૪) એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.
રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું. છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે તેમના પિતા અને ૨૨ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું.
તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.
નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડીયા, બારૈયા કોમો અને બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.
૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું. ૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી.
ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા. ૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી. પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ ‘કરોડપતિ ભિખારી’ જેવું ઉપનામ પણ તેમને મળ્યું હતું.