Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરત એરપોર્ટ પર CISF જવાને આપઘાત કરી લીધો છે. પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બીજી તરફ પોન્ઝી સ્કીમ ચલાવી કરોડનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ સિવાય અન્ય ગુજરાતના મહત્વના સમાચારો અહીં વાચો.
સુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાત
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઇએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. મૃતક જવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2022થી ફરજ નિભાવી રહ્યો હતો.
જંગલ સફારી પાર્કમાં દીપડો ઘૂસી ગયો, 8 કાળિયાર હરણનો શિકાર કર્યો
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા જંગલ સફારી પાર્કમાં દીપડો ઘૂસી ગયો હતો અને 8 કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાની ઘટના બની હતી. દીપડો ઘૂસ્યો એ દરમિયાન જંગલ સફારી પાર્કમાં નાઈટ ડ્યુટી કરી રહેલા એનિમલ કિપરોમાં નાસભાગ મચી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર
પોન્ઝી સ્કીમ ચલાવી કરોડનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતાં CID ક્રાઈમે ફરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ પહેલા 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આ પણ વાંચો – અમદાવાદ ફ્લાવર શો 2025 આ વર્ષે શું નવું છે? પરિવાર સાથે જાવ તો આ માહિતી જાણવી જરૂરી
નકલી પીએસઆઇ ઝડપાયો
રાજ્યમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. એક નકલી પીએસઆઇ તેમજ ડેપ્યુટી મામલતદાર ઝડપાયો છે. આરોપી કિરીટ અમીન પાસેથી પોલીસના બે નકલી આઇકાર્ડ તેમજ એક ડેપ્યુટી મામલતદારનું આઇકાર્ડ મળી આવ્યુ છે. આરોપીની પૂછપરછ કરતા તે લોકો પર રૌફ મારવા માટે નકલી અધિકારી બન્યો હોવાની કબુલાત કરી છે. આ સાથે જ પરિવહન દરમિયાન ટોલટેક્ષ ન ભરવા ડેપ્યુટી મામલતદારના કાર્ડનો ઉપયોગ કરતો હતો.
બનાસકાંઠા વિભાજન મુદ્દે સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન
રાજય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 8 તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી. જોકે આ જિલ્લા સામે ઘણી જગ્યાએ વિરોધ થઇ રહ્યો છે. નવા જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલા કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો છે.જે અંતર્ગત ધાનેરાના લોકોએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. ધાનેરાના લોકોએ જુના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી.
એક ખાનગી બસે દ્વારકા નજીક પલટી મારી
રાજ્યમાં શનિવારે અકસ્માતની બે ઘટનાઓ બની છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં આગ લાગી હતી. જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી દુર્ઘટનામાં અમદાવાદથી દેવભૂમિ દ્વારકા જતી એક ખાનગી બસ દ્વારકા નજીક પલટી હતી. જેમાં 20 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.





