IIM Ahmedabad Dubai campus : ભારતીય શિક્ષણના વૈશ્વિકરણની દિશામાં ભારતે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની બે દિવસીય યુએઈ મુલાકાતના બીજા દિવસે દુબઈમાં IIM અમદાવાદના કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ અને ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યા હતા. તેમણે તેમણે આને ભારતના શિક્ષણના વૈશ્વિકરણની દિશામાં વધુ એક મોટી છલાંગ ગણાવી હતી.
શિક્ષણમંત્રીએ શું કહ્યું?
આ પ્રસંગે ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું કે આઈઆઈએમ અમદાવાદનું દુબઈ કેમ્પસ ભારતનું શ્રેષ્ઠ શિક્ષણ દુનિયા સુધી પહોંચાડશે. દુબઈએ આજે IIM અમદાવાદના આંતરરાષ્ટ્રીય કેમ્પસની યજમાની કરીને ‘ભારતીય ભાવના, વૈશ્વિક દૃષ્ટિકોણ’ના સિદ્ધાંતને એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ઉચ્ચ શિક્ષણમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી અને જ્ઞાન, નવીનતા અને સંશોધનને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના કેન્દ્રીય સ્તંભ બનાવવા, જ્ઞાનના સેતુને વધુ ગાઢ બનાવવા સંમત થયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ અને ઉભરતા ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન, ક્ષમતા નિર્માણ અને દ્વિપક્ષીય સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો – ભારત મોરેશિયસમાં બનાવશે 500 બેડની હોસ્પિટલ, અનેક યોજનાઓમાં પણ કરશે મદદ
શિક્ષણ મંત્રીએ બુધવારે આઈઆઈટી કેમ્પસની મુલાકાત લીધી હતી
બુધવારે ધર્મેન્દ્ર પ્રધાને અબુધાબીમાં આઈઆઈટી દિલ્હી કેમ્પસની મુલાકાત લીધી હતી અને ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અહીં તેમણે કેમ્પસમાં પીએચડી અને બી-ટેક પ્રોગ્રામ શરૂ કર્યા. તેમની હાજરીમાં કેમ્પસની વર્તમાન રૂપરેખા અને ભાવિ યોજનાઓ પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.