પુરુષોત્તમ રૂપાલા વિવાદ : શું ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને ભારે પડશે?

ભાજપના રાજકોટ લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને નુકશાન કરી શકે છે. તો જોઈએ શું છે મામલો અને કેવી રીતે ભાજપ આ નારાજગી દુર કરશે.

Written by Kiran Mehta
Updated : April 04, 2024 10:45 IST
પુરુષોત્તમ રૂપાલા વિવાદ : શું ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને ભારે પડશે?
લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય (ફોટો - જનસત્તા)

Loksabha Election 2024 : ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આજકાલ ભાજપથી ખૂબ નારાજ છે. ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોએ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સામે મ્યાનમાંથી તલવારો કાઢીને રૂપાલાને પોતાની ટિકિટ પાછી ખેંચી લેવા અને પક્ષને પણ ચેતવણી આપી છે અન્યથા ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજની આ નારાજગીનું કારણ પુરષોત્તમ રૂપાલાએ તાજેતરમાં આપેલું નિવેદન છે. તમને જણાવી દઈએ કે, રૂપાલાને ભાજપ દ્વારા રાજકોટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

રૂપાલાએ શું કહ્યું?

પુરુષોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા એક સભામાં કહ્યું હતું કે, બ્રિટિશ શાસન દરમિયાન રાજા-મહારાજાઓએ પણ માથું ઝુકાવીને તેમની સાથે રોટી-બેટીના સંબંધ બાંધ્યા હતા, પરંતુ દલિત સમાજમાંથી આવતા રૂખી સમાજે માથુ નમાવ્યું ન હતું. હું તેના માટે તેમને સલામ કરું છું અને તે જ કારણ છે કે સનાતન ધર્મને જીવંત રાખ્યો હતો … જય ભીમ.”

સૌરાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ

કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ક્ષત્રિય સમાજના લોકો મેદાનમાં આવી ગયા હતા. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજનું કદ મોટું છે અને રૂપાલાના નિવેદન સામે ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ભારતની આઝાદી સમયે સૌરાષ્ટ્રમાં 100 થી વધુ નાના-મોટા રાજવીઓ હતા.

છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, સુરત અને કેટલાક સ્થળોએ ક્ષત્રિય સમાજના લોકોએ જોરદાર પ્રદર્શન કર્યું છે. કેશોદ અને રાજકોટમાં રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ક્ષત્રીય સમાજના આગેવાનોએ રૂપાલા સામે રાજકોટમાં મહાસંમેલન યોજી મોટા વિરોધનું આયોજન કર્યું છે.

દબાણ બાદ નિવેદન પાછું ખેંચાયું

ક્ષત્રિય સમાજના ભારે વિરોધ બાદ પુરુષોત્તમ રૂપાલાએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચે છે. ક્ષત્રિય સમાજ કે કોઈ રાજવી પરિવારનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી અને માત્ર અન્ય ધર્મના લોકો દ્વારા દલીતો પર કરેલા અત્યાચારો વિશે જણાવવા માંગતા હતા, પરંતુ ક્ષત્રિય સમાજનો આક્રોશ શાંત ન થયો હોવાનું જણાવ્યું હતું.

માત્ર ગુજરાત જ નહીં, તેની બહાર પણ ક્ષત્રિય સમાજે પરષોત્તમ રૂપાલાના નિવેદન સામે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. રાજસ્થાનમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતા રાજ શેખાવતે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, તેઓ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપે છે. “ભાજપના નેતૃત્વએ પરષોત્તમ રૂપાલા સામે કોઈ કાર્યવાહી કરી નથી.

ક્ષત્રિય સમુદાય ગુજરાત અને રાજસ્થાનની બહાર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા વગેરેમાં પણ છે. આવી સ્થિતિમાં ભાજપની નેતાગીરી જાણે છે કે, ક્ષત્રિય સમાજની નારાજગી દૂર નહીં થાય તો પક્ષને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

પક્ષ ડેમેજ કન્ટ્રોલમાં રોકાયો

ક્ષત્રિય સમાજના સતત વિરોધ બાદ પરિસ્થિતિ એટલી વણસી ગઇ હતી કે, ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજકોટ આવવું પડ્યું હતું. તેમણે ક્ષત્રિય સમાજના આગેવાનોના વિરોધને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમાજના આગેવાનો ઇચ્છે છે કે, ભાજપ પરષોત્તમ રૂપાલામાંથી પોતાની ટિકિટ પાછી ખેંચે.

પટેલ અને ક્ષત્રિય સમાજ

પરષોત્તમ રૂપાલા પટેલ સમાજમાંથી આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે જ્ઞાતિગત તણાવ જોવા મળે છે. 1988 માં પટેલ સમાજના કોંગ્રેસના ધારાસભ્ય પોપટ શ્રોતરીયાની ક્ષત્રિય સમાજના એક વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ વર્ષની શરૂઆતમાં કેબિનેટ મંત્રી વલ્લભભાઇ પટેલની હત્યામાં ક્ષત્રિય સમાજના એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું હતું. આ અંગે જાતિગત તણાવની સ્થિતિ પણ હતી.

કોણ છે પરષોત્તમ રૂપાલા?

પરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે. આ ઉપરાંત તેઓ ત્રણ વખત અમરેલી વિધાનસભામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ત્રણ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 2014 માં કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ તેમને કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.

પટેલ આંદોલનની ગરમી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં પટેલ સમાજે અનામતની માંગણી સાથે જબરજસ્ત આંદોલન છેડયું હતું. આ આંદોલન એટલું જબરદસ્ત હતું કે, ભાજપે 2017 ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ જોર સાથે પ્રયાસો કરવા પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે વિશાળ રેલીઓ કરવી પડી હતી. આમ છતાં 182 બેઠકો ધરાવતી ગુજરાતની 92 બેઠકો માટે ભાજપને જરૂરી બહુમતી કરતાં માત્ર 7 બેઠકો જ વધુ મળી શકી હતી. 2012 ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે 115 બેઠકો જીતી હતી. 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં 61 બેઠકો જીતનારી કોંગ્રેસે 2017 માં 77 બેઠકો જીતી હતી.

ત્યારે પટેલ સમાજે ભાજપને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો હતો. ત્યારે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ગુજરાતનો ઠાકોર સમાજ પણ ભાજપ વિરુદ્ધ એકજૂથ થઇ ગયો હતો. જો કે બાદમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હતા અને 2022 ની ચૂંટણીમાં ધારાસભ્ય પણ બન્યા હતા.

પરંતુ પટેલ અને ઠાકોર સમાજના રોષનો સામનો કરી ચૂકેલા ભાજપના નેતાઓ જાણે છે કે, લોકસભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં વગદાર ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનવું યોગ્ય નહીં ગણાય. આવી સ્થિતિમાં ભાજપ માટે ઓછું મુશ્કેલ નથી કારણ કે, જો તે પુરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેશે તો તેમને પટેલ સમાજના રોષનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતની વસ્તીમાં પટેલો અને પાટીદારોની સંખ્યા લગભગ 20 ટકા છે અને તે સૌથી પ્રભાવશાળી સમુદાય પણ છે.

બીજી તરફ ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વસતી 5 ટકા છે, પરંતુ તેમના નેતાઓનો દાવો છે કે, તેમની વસ્તી 8 ટકા જેટલી છે. 7 કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં 25 લાખની વસ્તી સાથે ક્ષત્રિય સમાજ છે. આવી સ્થિતિમાં શું ભાજપ ક્ષત્રિય સમાજની નારાજગીની અવગણના કરી શકશે?

આ પણ વાંચો – Gujarat Loksabha Election 2024 : સાબરકાંઠામાં હવે ભાજપના નવા ઉમેદવારને કાર્યકરોના અસંતોષનો સામનો કરવો પડી રહ્યો

ભાજપ શું કરશે?

મહત્વનો સવાલ એ છે કે, જો ભાજપ ક્ષત્રિય સમાજને મનાવવામાં સફળ નહીં થાય તો, શું લોકસભાની ચૂંટણીમાં તેમની સમસ્યાઓ વધશે અને પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાનો નિર્ણય કરશે તો તેને પટેલ અને પાટીદાર સમાજના રોષનો સામનો કરવો પડશે. ચોક્કસપણે, એક તરફ કૂવો છે અને બીજી તરફ ખાઈ છે. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પક્ષ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ