PM Modi visit Kevadia Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ખરાબ હવામાનના કારણે પીએમ મોદી વડોદરાથી બાય રોડ મારફતે કેવડિયા પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકતા નગરમાં ઈ-બસોને લીલી ઝંડી બતાવી હતી. વડાપ્રધાનના હસ્તે 30 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કરાયું હતું. આ સાથે એકતા નગરમાં હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે.
પીએમ નરેન્દ્ર મોદીએ એકતાનગર અને રાજપીપળામાં 1,220 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રીએ એકતા નગરમાં સ્મારક સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું હતું.
પીએમ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે
પીએમ મોદી શુક્રવારે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે. વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતા દિવસ પરેડ થશે. પરેડમાં વિવિધ રાજ્ય પોલીસ દળો સાથે BSF, CRPF, CISF, ITBP અને SSBની કન્ટીજન્ટ સામેલ રહેશે.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન અને કરપ્શન બિહારમાં રાજદના જંગલરાજની ઓળખ
આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં NSG, NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના દસ ટેબ્લો રજૂ કરાશે, જે ‘વિવિધતામાં એકતા’ થીમ દર્શાવે છે. 900 કલાકારો દ્વારા દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરશે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે રાષ્ટ્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે.





