Pramukh Swami Maharaj Shatabdi Mahotsav : ચીનમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાના કેસો વધવા પાછળ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BF.7ને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ આ કારણે ચિંતા વધી હતી. જેના કારણે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવાના શરૂ કરી દેવાયા છે. અમદાવાદમાં હાલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવતા ભાવિક ભક્તો માટે ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. પ્રમુખ સ્વામી નગરમાં સેવા કરતા લોકો માટે તેમજ આવતા ભક્તો માટે માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવતા ભાવિક ભક્તો માટેની ગાઇડલાઈન
- મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો માટે માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. સાથે જ દર્શને આવતા તમામ લોકોને પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. મહોત્સવ સ્થળ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે.
- મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે આથી સોશિયલ ડિસ્ટન્સ રાખી મહોત્સવનો લાભ લેવો.
- એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું, નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો.
- શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનારાઓએ મહોત્સવમાં ન જ આવવું.
- મોટી ઉંમર અને નાજુક સ્વાસ્થ્ય કે મોર્બીડ લક્ષણ (હાર્ટને લગતી બીમારી,બીપી, ડાયાબિટીસ, કિડની ડિસીઝ વગેરે) ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવું.
આ પણ વાંચો – પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉજવણી માટે સ્વંયસેવકોમાં ગૃહિણીઓથી લઇ આઇટી વ્યાવસાયિકો સામેલ, સંપ્રદાય એ જ સેવા
- વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટ ચોક્કસથી કરાવવો અને તબીબની સલાહ લેવી.
- મહોત્સવમાં ઠેર-ઠેર સ્વચ્છ ટોયલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે. ત્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયાંતરે સ્વચ્છ રાખવા.
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ કોરોનાથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવધાની ચોક્કસ રાખવી. વેક્સિનનો ડોઝ લેવાનો બાકી હોય તો વહેલામાં વહેલી તકે લઇ લેવો .
- આગળ સમયમાં સરકાર તથા જાહેર સ્વાસ્થ્ય સંસ્થાઓની ગાઇડ લાઇન મુજબ જાહેર જનહિત માટે જે તે સમયે જરૂરી પગલાં ભરવામાં આવશે.