સોહિની ઘોષ | Stray Cattle Case on Gujarat High Court : ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલ આંખ કરવા જઈ રહી છે. કારણ કે, જમીન પરની પરિસ્થિતિ હજુ પણ “ચિંતાજનક” હોવાનું નોંધીને, બુધવારે ગુજરાત હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે સંકેત આપ્યો હતો કે, તે ઢોરના જોખમને નિયંત્રિત કરવા માટે જવાબદાર અધિકારીઓ સામે ગુરુવારે કોર્ટની અવમાનના કરવાના આરોપો ઘડવાનું શરૂ કરશે.
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (GSLSA) એ રાજ્યના તમામ જિલ્લાઓમાં ઢોરના જોખમ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપન અને રોડ રસ્તાની ખરાબ સ્થિતિને નિયંત્રિત કરવાના સંદર્ભમાં જમીન પરની પરિસ્થિતિની વિગતો આપતો અહેવાલ સુપરત કર્યો હતો. 13 ઓક્ટોબરના આદેશમાં હાઈકોર્ટના નિર્દેશોને અનુસરીને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં નોંધ્યું હતું કે, રખડતા ઢોર રસ્તાઓ પર હજુ પણ સતત ફરતા રહે છે, ટ્રાફિકને અવરોધે છે અને “માનવ જીવ માટે જોખમ” બની રહ્યા છે.
બુધવારે, સરકારી વકીલ (GP) મનીષા લવકુમાર શાહ, રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા, જસ્ટિસ એ.જે. શાસ્ત્રી અને હેમંત પ્રચ્છકની બેન્ચને GSLSA ના અહેવાલને તપાસવા અને યોગ્ય જવાબ આપવા વિનંતી કરી. જસ્ટિસ શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ આ મામલો 26 ઓક્ટોબર, ગુરુવારે પોસ્ટ કરશે.
ન્યાયમૂર્તિ શાસ્ત્રીએ સરકારી વકીલ જીપીને મૌખિક રીતે ટિપ્પણી કરી કે, “કારણ એ છે કે, કાગળ પરની પરિસ્થિતિમાં સુધારો થયો હશે, પરંતુ જમીની વાસ્તવિકતા પર પરિસ્થિતિ હજુ ખૂબ જ ચિંતાજનક છે. અમે દરરોજ અખબારમાં જોઈ રહ્યા છીએ, (અને) આ સિવાય, એક વિગતવાર અહેવાલ (હવે) GSLSA દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ખૂબ જ ખેદજનક સ્થિતિ છે, તેથી આવતીકાલે. અમે વિભાગના પ્રભારી અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા માટે મજબૂર હોઈશું, અમે તે સ્પષ્ટ કરી રહ્યા છીએ કે, કોઈ પગલાં લેવામાં આવતા નથી.”
આ પણ વાંચો – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન : રખડતા ઢોરના ત્રાસ મામલે કડક નીયમો બનાવાયા, પશુ રાખવા લાયસન્સ-પરમિટ-ટેગ હવે ફરજિયાત
GP એ, જો કે, પછીની તારીખ માટે જજને વિનંતી કરી, અને રજૂઆત કરી કે, તેમના તરફથી ગયા અઠવાડિયે જ રાજ્યએ પશુઓના જોખમને નિયંત્રિત કરવા માટે જવાબદાર અધિકારીઓને નિયુક્ત કર્યા છે અને તેઓ જમીન સ્તરે સ્થિતિ પ્રતિબિંબિત કરવા માટે અર્થપૂર્ણ પગલાં માટે થોડો સમય લઈ શકે છે.
પરંતુ જસ્ટિસ શાસ્ત્રીએ મૌખિક રીતે ટિપ્પણી કરી, “અમે આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને આરોપો ઘડીશું. કારણ કે, વ્યવહારિક રીતે કોઈ પગલાં લેવામાં આવતા નથી અને પરિસ્થિતિ ચિંતાજનક છે. આ મામલો આવતીકાલે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.





