Vibrant Gujarat Global Summit 2024 : ગુજરાત સરકાર દ્વારા હાલમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવાને લઈ આતુર જોવા મળી રહી છે. આ અંતર્ગત ગૌતમ અદાણીએ પણ ગુજરાતમાં રોકાણ કરવા માટે ગુજરાત સરકાર પાસે એમઓયુ સાઈન કર્યા છે. જેમાં અદાણી ગ્રુપે ગુજરાતમાં 2 લાખ કરોડનું રોકાણ કરવા તૈયારી બતાવી છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 શું કહ્યું ગૌતમ અદાણીએ ?
ગૌતમ અદાણીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા કહ્યું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માત્ર ભારતના ભવિષ્ય વિશે જ વિચારી રહ્યાં નથી, પરંતુ તેના વિકાસ માટે અલગ અલગ પ્રયત્ન સાથે તેને આકાર પણ આપી રહ્યાં છો. તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે, અને ભારત વિશ્વના નકશા પર એક મોટી શક્તિ તરીકે સફળતાપૂર્વક ઉભરી રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. તેમણે કહ્યું, ‘છેલ્લા એક દાયકાના આંકડા શાનદાર રહ્યા છે. 2014 થી ભારતનો જીડીપી 185 ટકા વધ્યો છે. તો, માથાદીઠ આવકમાં પણ 165 ટકાનો વધારો થયો છે. ભારતની આ સિદ્ધિ અનન્ય છે, ખાસ કરીને એક દાયકામાં જેણે મહામારી અને ભૌગોલિક રાજકીય સંઘર્ષો જેવા પડકારો સામે પણ ભારતે પોતાની ઈકોનોમી ટકાવી રાખી છે.
અદાણી ગ્રુપ ક્યાં અને કયા સેક્ટરમાં રોકાણ કરશે
ગૌતમ અદાણીએ સમિટમાં જણાવ્યું હતુ કે, તેઓ ગુજરાતના કચ્છમાં એનર્જિ પાર્ક બનાવશે. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, કચ્છના ખાવડા વિસ્તારમાં તેઓ એક એનર્જી પાર્ક બનાવશે. આ એનર્જી પાર્ક 725 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હશે અને તેને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે તેટલો શાનદાર બનાવવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે, અમે ગ્રીન એનર્જિ સેક્ટરમાં રોકાણ કરવા માંગીએ છીએ. અદાણી ગ્રુપ આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેઈનને વિસ્તારી રહ્યુ છે. અમે સૌથી મોટી સંકલિત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. તેમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ગ્રીન એમોનિયા, પીવીસી અને સિમેન્ટ અને કોપર ઉત્પાદનમાં વિસ્તરણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – Vibrant Gujarat live updates : ગુજરાતમાં આગામી 5 વર્ષમાં રૂ. 2 લાખ કરોડનું રોકાણ કરશે : વાઇબ્રન્ટ સમિટમાં ગૌતમ અદાણી
ગૌતમ અદાણીના રોકાણથી ગુજરાતને શું ફાયદો થશે?
ગૌતમ અદાણીએ કહ્યું કે, અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે, જેના પગલે ગુજરાતના વિકાસમાં તે સહભાગી બનશે. આ રોકાણથી રાજ્યમાં પાંચ વર્ષમાં 1 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાની તેમની અપેક્ષા છે.





