Thailand Tour : થાઇલેન્ડ ફરવા જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. થાઇલેન્ડ સરકારે ભારતીયોને મફત વિઝા પ્રવેશ આપતી સેવાને અનિશ્ચિત સમયગાળા માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર આ નિયમ 11 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થવાનો હતો. પરંતુ ત્યાંની સરકારે ભારત માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવાની વાત કરી છે. જાણકારી અનુસાર ભારતીય નાગરિકો વિઝા વગર 60 દિવસ સુધી થાઇલેન્ડમાં ફરી શકશે. સાથે જ જો ભારતીય લોકો ઈચ્છે તો 60 દિવસ બાદ 30 દિવસનો સમયગાળો વધારવામાં આવશે.
આ વર્ષે 16 લાખથી વધુ ભારતીયોએ થાઇલેન્ડનો પ્રવાસ કર્યો
આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયો થાઇલેન્ડનો પ્રવાસ કરી ચૂક્યા છે. હવે થાઇલેન્ડ સરકારના આ નિર્ણયથી ડેસ્ટિનેશન વેડિંગ, ગ્રૂપ ઇવેન્ટ અને ફરવા સહિતની તમામ એક્ટિવિટીમાં વધારો થવાની આશા છે.
થાઇલેન્ડ બિઝનેસ ન્યૂઝના જણાવ્યા અનુસાર થાઇલેન્ડે ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. આ સેવા અનિશ્ચિતકાળ સુધી છે. રિપોર્ટ મુજબ અત્યાર સુધી ભારતીયોને થાઈલેન્ડના વિઝા મેળવવા માટે 3 હજાર રૂપિયા સુધીની ફી આપવી પડતી હતી. આ સાથે જ ઘણા બધા ડોક્યુમેન્ટ જમા કરાવવા પડ્યા હતા. હવે સરકારના આ નિર્ણયથી થાઇલેન્ડ જનારા ભારતીયોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
આ પણ વાંચો – દ્વારકાથી પોરબંદર દરિયાઇ પટ્ટીની રોમાંચક સફર, માણો અદભૂત નજારો
ભારતીયોને 58 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી
ગ્લોબલ રેન્કિંગ પ્રમાણે ભારતનો પાસપોર્ટ દુનિયાના 195 દેશોમાંથી 83માં ક્રમે છે. હેન્લી ગ્લોબલ રેન્કિંગ મુજબ સિંગાપોરનો પાસપોર્ટ સૌથી મજબૂત છે જ્યારે અફઘાનિસ્તાન પાસે સૌથી નબળો પાસપોર્ટ છે. આ યાદીમાં ભારત 83મા ક્રમે છે. આ લિસ્ટમાં ભારતીય પાસપોર્ટની મદદથી 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. એટલે કે હવે તમે પાસપોર્ટની મદદથી જ થાઇલેન્ડ વિઝા ફ્રી જઇ શકો છો.
સામાન્ય રીતે ભારતીયો મોટી સંખ્યામાં થાઇલેન્ડનો પ્રવાસ કરે છે. આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં 16 લાખથી વધુ લોકો થાઇલેન્ડની યાત્રા કરી ચૂક્યા છે. હવે આ નવા નિયમ બાદ યાત્રીઓની સંખ્યામાં હજુ વધારો થવાની આશા છે.





