Who can donate organs and age limit : માનવ શરીર અત્યંત સુવ્યવસ્થિત રીતે કામગીરી કરે છે, જેમાં આપણા શરીરના દરેક અંગ શરીરની કામગીરી માટે અલગ અલગ રીતે મહત્વની ભૂમિકા ભજવે છે. બીજી તરફ જો શરીરના કોઈપણ અંગમાં કોઈ પ્રકારની સમસ્યા હોય તો વ્યક્તિ ધીરે ધીરે બીમાર થવા લાગે છે. તેમજ શરીરના કોઈપણ અંગનું કામ ન કરવું એ પણ જીવલેણ સાબિત થઇ શકે છે. આ જ કારણસર ભારતમાં ઓર્ગેન ફેલિયોરના કારણે મૃત્યુના આંકડા ચિંતાજનક છે. જો કે આજના સમયમાં મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી લીધી છે કે જો કોઈ અંગમાં ખામી સર્જાય, અંગ ખરાબ થઇ જાય અથવા યોગ્ય રીતે કામગીરી ન કરે તો તેને બદલીને તેના સ્થાને નવું અંગ આપીને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે, પરંતુ કમનસીબે હજુ પણ લોકો આ બાબતે જાગૃત નથી. અંગ દાન અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 13 ઓગસ્ટના રોજ વિશ્વ અંગ દાન દિવસ ઉજવાય છે.
અંગ દાન કેમ જરૂરી છે?
નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર, ભારતમાં દર વર્ષે 5 લાખ લોકો મૃત્યુ પામે છે કારણ કે તેઓ યોગ્ય સમયે અંગ મેળવી શકતા નથી. તેમાંથી લગભગ 2 લાખ લોકો આવા છે, જેમની મૃત્યુ લિવર ન મળવાને કારણે થાય છે. એવામાં તમારું અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે. અહીંયા અંગ દાન સંબંધિત વારંવાર પૂછવામાં આવતા કેટલાક સામાન્ય પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા છે. સામાન્ય સંજોગોમાં એક વ્યક્તિના અંગ દાનથી સરેરાશ 8થી 9 વ્યક્તિને નવજીવન મળી શકે છે.
આ પહેલા તમને જણાવી દઈએ કે અંગ દાન બે પ્રકારના હોય છે. પ્રથમ જીવંત દાતા જેમાં વ્યક્તિ જીવિત હોય ત્યારે તે તેના અંગો જેમ કે કિડની વગેરેનું દાન કરી શકો છે અને બીજા રોગગ્રસ્ત દાતા જેમાં વ્યક્તિના મૃત્યુ પછી તેમના અંગો અને ટિશ્યુનું દાન કરવામાં આવે છે.
કઇ ઉંમરના વ્યક્તિ અંગ દાન કરી શકે છે?
અંગ દાન માટે જીવિત દાતાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. જ્યારે મહત્તમ ઉંમર વ્યક્તિની શારીરિક સ્થિતિના આધારે નક્કી થાય છે. બીજી તરફ, જો તમે આંખો કે ટિશ્યુ દાન કરવા માંગતા હોવ તો તેને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.
કયા અંગો અને ટિશ્યુનું દાન કરી શકાય છે?
વ્યક્તિ યકૃત, કિડની, સ્વાદુપિંડ, હૃદય, ફેફસાં, આંતરડા, કોર્નિયા, અસ્થિ મજ્જા અને વેસ્ક્યુલરાઇઝ્ડ કોમ્પોઝિટ એલોગ્રાફ્ટ્સ, જેમ કે ચામડી, ગર્ભાશય, અસ્થિ, સ્નાયુઓ, ચેતા અને જોડાયેલી પેશીઓ વગેરેનું દાન કરી શકે છે. આ દાન કરેલા અંગો મેળવનાર વ્યક્તિના જીવનને બચાવવામાં મદદ કરે છે.
અંગ દાન કોણ ન કરી શકે?
તબીબી ક્ષેત્રે અમુક લોકોને અંગ દાન કરવાની મનાઈ કરી છે. જેમાં કોઈ ગંભીર બીમારીથી પીડિત – જેમ કે કેન્સર, એચઆઇવી, કોઇ ગંભીર ચેપી રોંગ, ઇન્ટ્રા વેનસ (IV), અસ્થમા વગેરે જેવી બીમારી હોય તેવો અંગ દાન કરી શકતા નથી.





