World Diabetes Day On Health tips for Diabetes: વિશ્વ ડાયાબિટીસ દર વર્ષે 14 નવેમ્બરના રોજ ઉજવાય છે. ડાયાબિટીસની ગણતરી દુનિયાભરમાં ઝડપથી ફેલાય રહેલી બીમારીમાં થાય છે. આજકાલ કોઇ પણ ઉંમરની વ્યક્તિની ડાયાબિટીસ થઇ શકે છે. ડાયાબિટીસના બે પ્રકાર છે. ડાયાબિટીસની બીમારી બ્લડમાં સુગરનું પ્રમાણ વધવાથી થાય છે. જો બ્લડ સુગરને સમયસર કન્ટ્રોલમાં લેવામાં ન આવે તો શરીરમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થાય છે. ડાયાબિટીસથી વ્યક્તિને ખાણીપીણીથી લઇને શારીરિક પ્રવૃત્તિઓમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે અમુક બાબતોનું ધ્યાન રાખવાથી ડાયાબિટીસના દર્દીઓ બ્લડ સુગરને સરળતાથી કન્ટ્રોલમાં રાખી શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સ્પોર્ટ્સ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, જો ડાયાબિટીસના દર્દીઓ બપોરનું કે રાત્રીનું ભોજન કર્યા બાદ 2-5 મિનિટ સુધી હળવું વોક એટલે કે સામાન્ય ચાલવાની શારીરિક પ્રવૃત્તિ કરે તો બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. સંશોધન દર્શાવે છે કે લાંબા સમય સુધી બેસી રહેવાને બદલે, ઊભા રહેવું અને ચાલવું જેવી હળવી શારીરિક પ્રવૃત્તિઓ ઇન્સ્યુલિન અને બ્લડ સુગર લેવલ સહિત હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ થાય છે.

દરરોજ 8 કલાકની પુરતી ઉંઘ લેવી
કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર, જે લોકો દરરોજ 8 કલાકની પુરતી ઊંઘ લે છે તેમના શરીરમાં પેરા સિમ્પેથેટિક ઘણું એક્ટિવ રહે છે, જેના કારણે બ્લડ સુગર લેવલ સામાન્ય રહે છે. આ સંશોધનમાં એવી પણ વાત સામે આવી છે કે જે લોકોને સારી ઊંઘ આવે છે તેમનામાં ઇન્સ્યુલિન રિસ્પોન્સ વધે છે અને શુગર લેવલ વધતું નથી.
30 મિનિટની કસરતથી 40 ટકા જોખમ ઘટે છે
ડાયાબિટીસથી બચવા માટે કસરત મહત્વપૂર્ણ છે. આ રિસર્ચ અનુસાર જે લોકો નિયમિતપણે 30 મિનિટ સુધી કસરત કરે છે તેઓમાં વર્કઆઉટ ન કરનાર લોકોની સરખામણીમાં ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ 40 ટકા ઓછું રહે છે. કસરત કરવાથી ટાઈપ-1 ડાયાબિટીસ પણ કન્ટ્રોલમાં રહે છે. ઝડપી ચાલવું, તરવું, સાયકલ ચલાવવી અને ડાન્સ કરવું એ પણ સારી કસરતો છે.

બ્લડ સુગરનું લેવલ જાણવા HbA1c ટેસ્ટ
બ્લડમાં સુગરની સાચી સ્થિતિ જાણવા માટે HbA1C ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં છેલ્લા 3 મહિનાનું બ્લડ શુગર લેવલ જોવા મળે છે. આ ટેસ્ટથી દર્દીની હેલ્થમાં કેટલો સુધારો થયો છે તે જાણી શકાય છે. દર્દીને ઇન્સ્યુલિનની જરૂર છેકે તે નહીં પણ જાણી શકાય છે. આથી દર 3 મહિને HbA1C ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટ દિવસના કોઈપણ સમયે કરી શકાય છે.
રાતના બેથી સવારના 8 વાગ્યાની વચ્ચે વધે છે બ્લડ સુગર
ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર રાતના 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી વધે છે. આ માટે ઘણા કારણો જવાબદાર છે. જેમ કે. ઊંઘ દરમિયાન હોર્મોનલ ફેરફાર, ઇન્સ્યુલિનમાં ઘટાડો, ઊંઘતા પહેલા કોઈપણ દવા લેવી અથવા કાર્બોહાઇડ્રેટ ખોરાક ખાધા પછી સૂવું. સુગર લેવલમાં વધારો ટાળવા માટે, સૂતા પહેલા હાઈ ફાઇબર અને ઓછી ચરબીવાળો ખોરાક લો. સામાન્ય રીતે રાત્રે હળવું ભોજન કરવું; કેફીન એટલે કે કોફી, ચોકલેટ, સોડા અથવા સૂવાના 2-3 કલાક પહેલા કોઈપણ નશીલા પદાર્થનું સેવન કરવાનું ટાળવું. તે મગજના જ્ઞાનતંતુઓને ઉત્તેજીત કરે છે, ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને અનિદ્રાન સમસ્યા થવાની સંભાવના રહે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ડાયટ ટીપ્સ
ડાયાબિટીસના દર્દીઓએ કડક ડાયટ ટીપ્સનું પાલન કરવું જોઇએ. તેમણે નિર્ધારિત સમયે અને શાંત વાતાવરણમાં ભોજન કરવું. વધુ પડતું ખાવું નહીં. સવારે 8-9 વાગ્યાની વચ્ચે નાસ્તો, બપોરે 12-1 વાગ્યાની વચ્ચે લંચ અને સાંજે 7-8 વાગ્યાની વચ્ચે ડિનર કરી લેવું જોઇએ. રાતનું ડિનર સવારના નાસ્તા અને લંચ કરતાં હળવું હોવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ મલ્ટી ગ્રેઇનના લોટની રોટલી ખાવી. ભોજનની શરૂઆત સલાડ ખાવાથી કરવી.
આ પણ વાંચો | પેટ માટે અમૃત છે બારેમાસ મળતું આ ફળ; કબજીયાત, બ્લડપ્રેશર અને આંતરડાની સમસ્યામાં રાહત આપશે
પુષ્કળ પ્રમાણણાં પાણી પીવું
ધ ગ્લોબલ ડાયાબિટીસ કોમ્યુનિટી મુજબ પાણીમાં કોઈ કાર્બોહાઈડ્રેટ્સ કે કેલરી હોતી નથી. જેમ જેમ બ્લડ સુગર વધે છે તેમ ડિહાઈડ્રેશનનું જોખમ વધે છે. તેનાથી બચવા માટે ડાયાબિટીસના દર્દીએ પુષ્કળ પાણી પીવું જોઈએ. ડાયટ પર પુરતું ધ્યાન આપો. ઉંમર પ્રમાણે ખોરાકનું સેવન ઓછું કરો. રાત્રે પણ જમ્યા પછી તરત જ 5-10 મિનિટ ચાલવાનું રાખો.





