World Pneumonia Day 2025 : વિશ્વ ન્યુમોનિયા દિવસ દર વર્ષે 12 નવેમ્બરે ઉજવવામાં આવે છે. ન્યુમોનિયા એ એક ગંભીર શ્વસન ચેપ છે જે બાળકો અને વૃદ્ધો માટે વધુ ઘાતક બની શકે છે. જે બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગના કારણે થાય છે. આ દિવસનો હેતુ ન્યુમોનિયા વિશે જાગૃતિ વધારવા અને આ રોગને રોકવા માટે યોગ્ય પગલાં લેવાનો છે.
વિશ્વ ન્યુમોનિયા દિવસ ઇતિહાસ
વિશ્વ ન્યુમોનિયાના ઇતિહાસની વાત કરીએ તો આ દિવસની શરૂઆત વર્ષ 2009માં કરવામાં આવી હતી. આ જીવલેણ રોગ તરફ લોકોનું ધ્યાન દોરવા અને વૈશ્વિક સ્તરે નિવારણ અને સારવારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે “ગ્લોબલ કોએલિશન અગેન્સ્ટ ચાઇલ્ડ ન્યુમોનિયા” દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. ન્યુમોનિયા ઘાતક બીમારીઓમાંથી એક છે, જે દર વર્ષે લાખો મૃત્યુનું કારણ બને છે, ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો શિકાર બને છે.
ન્યુમોનિયા એ એક રોગ છે જેને અમુક ઉપાયો અપનાવીને અને દવાઓ લેવાથી અટકાવી શકાય છે. પરંતુ જો ન્યુમોનિયાની સારવારમાં થોડી પણ બેદરકારી દાખવવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આ રોગ વિશે જાગૃત કરવાનો છે. ન્યુમોનિયા કેવી રીતે ફેલાય છે, તેની સારવાર શું છે અને તેના લક્ષણો કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી સામાન્ય લોકોને પૂરી પાડવી જોઈએ.
આ પણ વાંચો – શિયાળામાં હનીમૂન પર જવા માટે 4 સુંદર સ્થળો, હંમેશા રહેશે યાદગાર
ન્યુમોનિયાના લક્ષણો?
- શ્વાસ લેતી વખતે અથવા ઉધરસ કરતી વખતે છાતીમાં દુખાવો
- થાક
- તાવ, પરસેવો અને શરદી
- શરીરના સામાન્ય તાપમાન કરતા ઓછું
- ઉબકા, ઉલટી અથવા ઝાડા
- શ્વાસ લેવામાં તકલીફ
ન્યુમોનિયાના લક્ષણોની સ્થિતિમાં બ્લડ ટેસ્ટ, છાતીના એક્સ-રેની મદદથી તેની પુષ્ટિ થાય છે. ન્યુમોનિયાની સારવાર તેના કારણના આધારે કરવામાં આવે છે. જો તે બેક્ટેરિયલ ચેપને કારણે હોય તો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત કેટલાક ઘરેલું ઉપાયો જેમ કે કોગળા કરવા અને ગરમ પાણી પીવાથી પણ ન્યુમોનિયાના લક્ષણો ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.





