Air Force Plane Crash: ભારતીય વાયુસેનાના બે ફાઇટર એરક્રાફ્ટ શનિવારે (28 જાન્યુઆરી) સવારે મધ્ય પ્રદેશના મોરેના નજીક ક્રેશ થયા હતા. આઈએએફના બે ફાઈટર જેટ – સુખોઈ-30 અને મિરાજ-2000 – તાલીમ મિશન દરમિયાન ક્રેશ થતાં એક પાઈલટનું મૃત્યુ થયું હતું અને બે ઘાયલ થયા હતા. વાયુસેના તપાસ કરી રહી છે કે, શું વિમાનો વચ્ચે હવામાં ટકરાયા હતા, જેના કારણે ક્રેશ થયું હતું.
મુરેનાના ડીએમએ માહિતી આપી છે કે, બે પાયલટોને બચાવી લેવામાં આવ્યા છે. આ બંને પાયલોટને સારવાર માટે ગ્વાલિયર ખસેડવામાં આવ્યા છે. ત્રીજા પાયલટના શહીદના સમાચાર સામે આવી રહ્યા છે.
1 - સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુખોઈ-30માં બે પાઈલટ હતા જ્યારે મિરાજ-2000માં એક પાઈલટ હતો. મોરેનાના એસપી આશુતોષ બાગરીએ કહ્યું, “આજે સવારે 2 વિમાન મિરાજ અને સુખોઈએ ગ્વાલિયરથી ઉડાન ભરી હતી. એક વિમાનમાં બે પાઈલટ અને બીજામાં એક પાઈલટ હતા. બે પાઇલોટને બચાવી લેવાયા હતા. પાયલોટના શરીરના ભાગો મળી આવ્યા છે. ભરતપુરમાં વિમાનના કેટલાક ભાગો પણ મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
2 - તો, વાયુસેનાએ તેના નિવેદનમાં કહ્યું, “ભારતીય વાયુસેનાના બે ફાઇટર એરક્રાફ્ટ આજે સવારે ગ્વાલિયર પાસે ક્રેશ થયા. એરક્રાફ્ટ નિયમિત ઓપરેશનલ ફ્લાઇટ તાલીમ મિશન પર હતું. સામેલ ત્રણ પાઇલોટમાંથી એકને જીવલેણ ઇજાઓ થઇ હતી. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.”
3 - મધ્યપ્રદેશના ગ્વાલિયરના એરબેઝ પરથી આજે સવારે લડાકુ વિમાનોએ ઉડાન ભરી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, બંને વિમાનો વચ્ચે સંભવિત અથડામણ ત્યારે થઈ જ્યારે તેઓ હાઈ-સ્પીડ કોમ્બેટ મિશન પર હતા. કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં વધુ વિગતો બહાર આવશે.
4 - રાજસ્થાનના ભરતપુરમાં પણ એક વિમાનનો કાટમાળ પડ્યો છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે ભારતીય વાયુસેનાનું વિમાન છે કે ચાર્ટર્ડ પ્લેન. ભરતપુર જિલ્લા મેજિસ્ટ્રેટે અગાઉના અહેવાલમાં ચાર્ટર્ડ જેટની પુષ્ટિ કરી હતી. તો, સંરક્ષણ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, ભારતીય વાયુસેનાના જેટ આસપાસના વિસ્તારમાં ક્રેશ થયા છે.
5 - ભરતપુરના ડીએસપી અજય શર્માએ જણાવ્યું કે, સવારે લગભગ 10 વાગે અમને વિમાન ક્રેશ થયું હોવાની માહિતી મળી હતી. સ્થળ પર આવીને જાણવા મળ્યું કે તે એરફોર્સનું ફાઈટર જેટ છે. તે કઈ શ્રેણીના ફાઈટર છે તે જાણી શકાયું નથી. પાયલોટ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.