બિહાર : કોંગ્રેસની કંજુસી પડી ભારે! નીતિશ કુમારની મહાગઠબંધનમાંથી બહાર નીકળવાની અસલી કહાની

Nitish Kumar : ઇન્ડિયા ગઠબંધન રચાયા બાદ પણ બંગાળમાં બેઠકોની વહેંચણી નિષ્ફળ રહી છે, યુપીમાં સર્વસંમતિ સધાઈ રહી નથી, પંજાબમાં આમ આદમી પાર્ટી એકલી જઈ રહી છે અને હવે બિહારમાં સૌથી મોટો રાજકીય ખેલ ખેલાયો છે

Written by Ashish Goyal
January 28, 2024 19:12 IST
બિહાર : કોંગ્રેસની કંજુસી પડી ભારે! નીતિશ કુમારની મહાગઠબંધનમાંથી બહાર નીકળવાની અસલી કહાની
ઇન્ડિયા ગઠબંધના નેતા સાથે નીતિશ કુમાર (ફાઇલ ફોટો)

Nitish Kumar : નીતિશ કુમારે બિહારમાં રાજકીય ખેલ કરી દીધો છે. તેમણે ફરી એનડીએ સાથે હાથ મિલાવ્યા છે. નીતિશના બહાર નીકળવાના ઘણા કારણો છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં અસલી કારણ કઇંક અન્ય જ સામે આવ્યું છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસની, દેશની એ પાર્ટી જે છેલ્લા કેટલાક વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ નબળી પડી ગઈ છે. ચૂંટણીમાં અનેક પરાજયથી પાર્ટીના એક સમયના મજબૂત સંગઠનને કાટ લાગી ગયો છે. પરંતુ ત્યાર બાદ પણ કોંગ્રેસ હાઈકમાન્ડ પોતાને ઓછો આંકવા તૈયાર નથી. તેઓ કોઈની સાથે સમાધાન કરી શકતા નથી. આ કારણે જ ઇન્ડિયા ગઠબંધન રચાયા બાદ પણ બંગાળમાં બેઠકોની વહેંચણી નિષ્ફળ રહી છે, યુપીમાં સર્વસંમતિ સધાઈ રહી નથી, પંજાબમાં આમ આદમી પાર્ટી એકલી જઈ રહી છે અને હવે બિહારમાં સૌથી મોટો રાજકીય ખેલ ખેલાયો છે.

જેડીયુ નેતા કેસી ત્યાગીએ મીડિયા સામે નિવેદન આપ્યું છે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નીતિશ કુમારના અલગ થવા પાછળ ના તો લાલુ છે, ના તો તેજસ્વી, ના તો મહાગઠબંધન છે, પરંતુ સમગ્ર દોષ માત્ર અને માત્ર કોંગ્રેસનો જ રહ્યો છે. કેસી ત્યાગીએ કહ્યું કે કોંગ્રેસ ઇન્ડિયા બ્લોકનું નેતૃત્વ ચોરવા માંગતી હતી. 19 ડિસેમ્બરે યોજાયેલી બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ (વડા પ્રધાન તરીકે) મુકવામાં આવ્યો હતો. તેથી ઇન્ડિયા બ્લોકનું નેતૃત્વ લઇ લેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

નીતિશ કુમાર કોઈ પણ કિંમતે કોંગ્રેસની સામે ઝુકવા તૈયાર ન હતા

હવે આ નિવેદનથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે નીતિશ કુમાર કોઈ પણ કિંમતે કોંગ્રેસની સામે ઝુકવા તૈયાર ન હતા. આ ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેને જે રીતે ઇન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, નીતિશને તે પણ પસંદ આવ્યું ન હતું. હવે એ સમજવું જરૂરી છે કે નીતીશ કુમારે ઇન્ડિયા ગઠબંધન બનાવવાનું કામ કર્યું હતું. દરેકને તે સમય યાદ છે જ્યારે નીતીશે બિહારથી દિલ્હીની અનેક યાત્રાઓ કરી હતી. ક્યારેક તેઓ સીએમ કેજરીવાલને મળી રહ્યા હતા તો ક્યારેક સોનિયા પાસે સમય માંગી રહ્યા હતા. દરેક જગ્યાએ માત્ર તેમની જ ચર્ચા થતી હતી.

આ ઉપરાંત કોંગ્રેસને પણ નીતિશ કુમારનું એક પ્રકારનું સમર્થન મળી રહ્યું હતું. જ્યારે પણ કોંગ્રેસ વગર ગઠબંધનની વાત થતી ત્યારે સૌથી પહેલા નીતિશે વળતો જવાબ આપ્યો હતો. આ કારણથી આટલી મહેનત બાદ પણ જ્યારે કંઇ હાથમાં આવ્યું નહીં તો નીતિશ ગુસ્સે થઇ ગયા, તેમને છેતરાયાની લાગણી થઇ. એ વાત સાચી છે કે તેમણે સામેથી કોઇ પદની માંગણી કરી ન હતી, પરંતુ એ વાત પણ સાચી છે કે તેમના સપના મોટા હતા. પીએમ પદ માટે જેડીયુ દ્વારા સતત તેમનું નામ લેવામાં આવી રહ્યું હતું. કો-ઓર્ડિનેટર બનાવવાનાને લઇને ડીલ ફાઇનલ થઇ ગઇ હતી. પરંતુ છેલ્લી ઘડીએ સૌએ ખડગેને જે રીતે ટેકો આપ્યો હતો તે જોતાં નીતિશ ગુસ્સે થયા હતા.

આ પણ વાંચો – નીતિશ કુમારની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા, આ અપક્ષ ધારાસભ્યને પણ મળી તક

હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જો કોંગ્રેસ પીએમ પદ રાખવા માંગતી હોય તો પણ તે કન્વીનર માટે નીતિશ કુમારનું નામ આગળ કરી શકતી હતી. માનવામાં આવે છે કે અન્ય પક્ષોએ પણ ખડગેને ટેકો આપ્યો હતો, પરંતુ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવાથી દરેક નિર્ણયમાં તેનું મહત્વ હોય તે બરાબર છે. પરંતુ જે સરળતાથી ખડગેનું નામ સ્વીકારવામાં આવ્યું તેનાથી નીતિશનો ઇગો હર્ટ થવા વ્યાજબી હતો.

હવે એક તરફ કોંગ્રેસ તરફથી નીતિશને કોઈ પદ આપવામાં આવી રહ્યું ન હતું પરંતુ રિટર્નમાં પાર્ટીની માંગ ખતમ થતી ન હતી. બિહારમાં માત્ર એક બેઠક જીતનાર કોંગ્રેસ 9 બેઠકોની માંગ કરી રહી હતી, એટલે કે દરેક સ્થાનેથી દબાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે નીતિશ કુમાર જેવા વરિષ્ઠ નેતાએ આ વલણ સહન થયું ન હતું.

આગામી દિવસોમાં કોંગ્રેસની મુશ્કેલી વધશે

જે સમયે નીતિશે ઇન્ડિયા ગઠબંધનનો સાથ છોડી દીધો છે. સ્પષ્ટ સંદેશ જઇ રહ્યો છે કે ચૂંટણી પહેલા જ વિપક્ષ વિખેરાઇ ગયો છે, પરસ્પર લડાઇના કારણે આ ઝઘડો ચરમ સીમા પર છે. હવે જે રીતે જેડીયુએ પણ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે તે જોતાં આગામી દિવસોમાં દેશની સૌથી જૂની પાર્ટીની મુશ્કેલીઓ વધશે તે નક્કી છે. આમ જોવા જઈએ તો આ મુશ્કેલીનો અહેસાસ તે સમયે થયો જ્યારે મધ્ય પ્રદેશમાં કેટલાય કલાકો સુધી મંથન કર્યા બાદ પણ કોંગ્રેસને જેડીયુ માટે એક પણ સીટ ન મળી શકી. આ રાજકીય ડ્રામાની અડધી સ્ક્રિપ્ટ ત્યારે જ લખવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પોતાને જ મહત્વ આપવાનું વલણ ઘણાને ગળે ઉતરતું ન હતું નીતિશ બે ડગલાં આગળ વધ્યા અને સીધો ફટકો આપવાનું કામ કર્યું.

હવે નીતિશના આ પગલાથી મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓની હિંમત વધુ વધવાની છે. વિપક્ષ ભલે એકજૂથ ન હોય, પરંતુ દરેક જણ કોંગ્રેસને પાઠ ભણાવવા માંગે છે. હવે દેશના રાજકારણમાં સુવર્ણકાળ નથી એવો અહેસાસ કરાવવા માટે તેણે પણ મોટું હૃદય બતાવવું પડશે. એટલે કે હજુ પણ બલિદાન આપવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસે હવે વધુ ઝુકાવવા માટે તૈયાર રહેવું પડશે, બેઠકો વધુ ઘટાડવી પડી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ