Chandrayaan 3 Mission Update : ચંદ્રયાન 3 મિશનના તાજેતરના અપડેટમાં ઇસરોએ સોમવારે જણાવ્યું હતું કે ચંદ્રની સપાટી પર ફરતા રોવર પ્રજ્ઞાનના માર્ગમાં એક વિશાળ ખાડો જોવા મળ્યો હતો. જેના કારણે તેનો રસ્તો બદલવામાં આવ્યો હતો. એજન્સીએ ઉમેર્યું હતું કે રોવર હવે નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે.
ઇસરોએ એક્સ પર ટ્વિટ કર્યું હતું કે 27 ઓગસ્ટ, 2023ના રોજ રોવરને તેના સ્થાનથી 4 મીટર આગળ 3 મીટર વ્યાસનો ખાડો જોવા મળ્યો હતો. રોવરને માર્ગથી પરત ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે હવે સલામત રીતે નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે.રોવર નાના-મોટા તો ખાડા પાર કરી શકે છે પણ ઘણા મોટા ખાડા પાર કરી શકે નહીં. તેથી જ્યારે તેની સામે મોટો ખાડો હશે તો તેનો રસ્તો બદલવો પડશે.
ચંદ્રયાન-3 સાધનો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયોગોના પ્રથમ આઉટપુટથી જાણવા મળ્યું છે કે ચંદ્રની સપાટી પરનું તાપમાન ઓછામાં ઓછું દક્ષિણ ધ્રુવની નજીક ઊંડાઈ સાથે ઝડપથી ઘટી રહ્યું છે.
આ પણ વાંચો – ચંદ્રમા ના દક્ષિણ ધ્રુવ પર કેટલી ગરમ છે માટી? મિશન ચંદ્રયાન 3 એ કરી શોધ
ચંદ્રયાન 3 મિશનના રોવરે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર રહેલી માટીની તપાસ શરૂ કરી દીધી છે. ઈસરોએ રવિવારે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી. ઇસરોએ કહ્યું કે અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ વખત ચંદ્રયાન -3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની માટીની તપાસ કરી. સપાટીથી 10 સે.મી. સુધી તેના તાપમાનમાં તફાવત હતો.
ઇસરોએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની માટીનું તાપમાન પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે. આવું એટલા માટે કારણ કે પ્રથમ વખત કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ઇસરોએ માટીના તાપમાનનો એક ગ્રાફ પણ શેર કર્યો છે. ગ્રાફમાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ થી 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ દેખાય રહ્યું છે.