Supreme Court Dismisses PIL Against E20 Fuel In India : દેશભરમાં ઇ20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ) વિશેનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ઇ20 મિશ્રિત પેટ્રોલ મામલે 1 સપ્ટેમ્બર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ છે. આ સુનાવણીમાં ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે સરકાર તરફથી ભારતના એટોર્ની જનરલ આર.વેંકટરામાણીની દલીલ સાંભળ્યા બાદ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો વિરોધ કરતી PIL ફગાવી દીધી હતી. આ જાહેર હિતની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશની જનતાને પણ ઈથેનોલ ફ્રી પેટ્રોલનો વિકલ્પ મળવો જોઈએ.
What Is E20 Petrol ? ઇ20 પેટ્રોલ શું છે ?
E20 એટલે શું? પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્ર કરવામાં આવે છે, તેને E20 કહે છે.
શું છે ફાયદા? સરકારે દાવો કર્યો હતો કે વધુ સારી પિક-અપ, વધુ ઓક્ટેન (95 RON), ઓછું પ્રદૂષણ (30 ટકા સુધી) હશે.
ગેરફાયદા શું છે? જાણકારોનું કહેવું છે કે, વાહનોની ઇંધણ કાર્યક્ષમતામાં 2-4 ટકાનો થોડો ઘટાડો શક્ય છે.
ગ્રાહકોની ફરિયાદ? કેટલાક વાહન માલિકોનો દાવો છે કે માઇલેજ 20 – 50 ટકા ઘટી છે.
ઓટો કંપનીઓની સ્પષ્ટતા ? SAIM અને ARAI કહે છે કે, આ માત્ર એક ગેરસમજ છે.
વોરંટી અને વીમો ? કંપનીઓએ સ્પષ્ટ કર્યું કે ઇ20 મિશ્રિત પેટ્રોલથી એન્જિનને કોઈ નુકસાન નથી થયું અને વોરંટી માન્ય રહેશે.
સરકારના દાવાથી વિપરીત ગ્રાહકોનો અનુભવ
નીતિ આયોગનો સર્વે દર્શાવે છે કે ઇ20 પેટ્રોલ વધુ સારી પિક-અપ, સરળ ડ્રાઇવ અને કાર્બન ઉત્સર્જનમાં લગભગ 30 ટકાનો ઘટાડો કરે છે, પરંતુ ઉપભોક્તાનો અનુભવ તેનાથી વિપરીત લાગે છે.
શનિવારે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એઆરએઆઈ)ના અધિકારીઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં પરિસ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે સ્વીકાર્યું કે ઇ20 મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોની બળતણ કાર્યક્ષમતામાં 2 થી 4 ટકાનો નજીવો ઘટાડો થઈ શકે છે.
સિયામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી.કે. બેનર્જીએ ગ્રાહકો દ્વારા માઇલેજમાં 20-50 ટકાનો ઘટાડો કરવા અંગેના દાવાને “ગેરમાર્ગે દોરનારી માહિતી અભિયાન” ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટમાં માત્ર 2-4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
E20 પેટ્રોલ માઇલેજ : ટેકનિકલ લાભ
નિષ્ણાતોનું કહેવું છે કે ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ પેટ્રોલ કરતા ઘણું વધારે (108.5 વિરુદ્ધ 84.4) છે, જે હાઇ કમ્પ્રેશન એન્જિનને વધુ સારું પ્રદર્શન આપે છે. ઇ20 ની સાથે, પેટ્રોલ ઓક્ટેન લેવલ 95 પર પહોંચી ગયું છે, જે એન્જિનમાં નોકિંગ સમસ્યા ઘટાડે છે અને સારું પિક અપ આપે છે.
E20 Petrol in India : વોરંટી અને વીમા અંગેના પ્રશ્નો પાયાવિહોણા
બેનર્જીએ જૂના વાહનો પર વોરંટી અને વીમા અંગે ફેલાયેલી આશંકાઓ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ઇ20થી અત્યાર સુધી કોઈ પણ વાહનમાં એન્જિન ડેમેજ થવાની ફરિયાદ નથી થઈ અને કંપનીઓ વોરંટીને સંપૂર્ણપણે સ્વીકારશે.





