/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/H3N2-Influenza.jpg)
H3N2 વાયરસે ચિંતા વધારી (ફોટો - એક્સપ્રેસ - વિશાલ શ્રીવાસ્તવ)
H3N2 Cases Surge in India: દેશમાં H3N2 વાયરલ કેસ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈમાં 4 લોકોમાં આ વાયરલની પુષ્ટિ થઈ છે. BMCએ જણાવ્યું કે, મુંબઈમાં 32 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 દર્દીઓમાં H3N2 અને બાકીના દર્દીઓમાં H1N1 ની પુષ્ટિ થઈ છે. હાલ તમામ દર્દીઓની હાલત સ્થિર છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારા વચ્ચે રાજ્ય સરકાર ગુરુવારે એટલે કે, આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં એક બેઠક યોજશે. તો, આસામમાં આ વાયરસનો પહેલો કેસ પણ સામે આવ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, આ ઈન્ફલ્યુએન્ઝા દિલ્હી, ગુજરાત, ગોવા અને પુડુચેરીમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ગભરાવાની જરૂર નથી - આરોગ્ય મંત્રી
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 352 દર્દીઓને ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ થઈ છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, H3N2 વધારે ખતરનાક નથી. આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે, નાગપુરથી શંકાસ્પદ H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક અહમદનગર જિલ્લામાંથી નોંધાયો છે. 13 માર્ચ સુધી, મહારાષ્ટ્રમાં ઈન્ફલ્યુએન્ઝા માટે 2,56,424 દર્દીઓની તપાસ કરવામાં આવી છે. તેમાંથી શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 1406 નોંધાઈ છે. જેમાં સ્વાઈન ફ્લુ વાયરસ H1N1 થી પીડિત દર્દીઓની સંખ્યા 303 જ્યારે H3H2 થી પીડિત દર્દીઓની સંખ્યા 58 હતી. 48 દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.
ઈન્ફલ્યુએન્ઝા 4 પ્રકારના હોય છે
મળતી માહિતી મુજબ સીઝનલ ઈન્ફલ્યુએન્ઝા એ શ્વસન સંબંધી ચેપ છે. તે 4 વિવિધ પ્રકારના હોય છે. ઈન્ફલ્યુએન્ઝા A, B, C અને D ઓર્થોમીક્સોવિરિડે ફેમિલીમાંથી છે. ઈન્ફલ્યુએન્ઝા એ આમાંથી સૌથી સામાન્ય છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો સામાન્ય રીતે દર વર્ષના શરૂઆતના મહિનામાં તેના કેસમાં વધારો થતો જોવા મળે છે. ભારતમાં સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન મોસમી ઈન્ફલ્યુએન્ઝા જોવા મળે છે અને ચોમાસા પછીની ઋતુમાં બીજો ઈન્ફલ્યુએન્ઝા જોવા મળે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ચના અંત સુધીમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં ઘટાડો થવાની ધારણા છે.
આ પણ વાંચો - બિહારમાં નંબર વધારવા બીજેપીને સુરક્ષાની જરૂર, કેન્દ્રએ આ ત્રણ નેતા માટે સુરક્ષા છત્રી કાઢી
કેવા લક્ષણો દેખાય છે
આમાંના મોટા ભાગના કિસ્સાઓમાં, ઉધરસ અને શરદી સાથે, શરીરમાં દુખાવો અને તાવ વગેરે લક્ષણો દેખાય છે. તે સામાન્ય રીતે એક અઠવાડિયામાં રૂઝ આવે છે. જો કે, નવજાત શિશુઓ, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. છીંક આવવાને કારણે તે એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. આ કિસ્સામાં, માસ્કનો ઉપયોગ કરીને તેને ટાળી શકાય છે. આ સિવાય સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવવાનું પણ ટાળવું જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us