(કવિતા જોષી) Women Colonels In Indian Army: વર્ષ 2020માં સશસ્ત્ર દળોમાં મહિલાઓને કાયમી કમિશન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેનાએ આ દિશામાં ઝડપથી પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. જેમાં આઝાદીના 75 વર્ષ બાદ વર્તમાન વર્ષ 2023માં આ અંગે સેનાનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. જેમાં સેનાએ કર્નલ જેવા મહત્વના પદો માટે કાયમી નિમણૂંક સાથે કુલ 128 મહિલાઓની પસંદગી કરી છે.
રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ધ્યાનમાં રાખીને સેના પોતાના પ્રમોશન બોર્ડ દ્વારા સતત પ્રયાસ કરી રહી છે કે સેનામાં મહત્તમ સંખ્યામાં મહિલાઓને કાયમી નિમણૂક મળે. આ વર્ષે આ આંકડો 128 પર પહોંચી ગયો છે. આ 128 મહિલા અધિકારીઓને કોમ્બેટ ઉપરાંત સેનાની અન્ય શાખાઓમાં તૈનાત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
હાલમાં 95 સંબંધિત શાખાઓ સાથે સંકળાયેલા વિભાગોમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. બાકીની 33 મહિલા અધિકારીઓને પણ ટૂંક સમયમાં તૈનાત કરવામાં આવશે. આર્મીનો અંદાજ છે કે આવતા વર્ષ 2024ના મધ્ય સુધીમાં આ તમામ 128 મહિલા અધિકારીઓને તેમની સંબંધિત શાખાઓમાં તૈનાત કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાઓને એક પૂર્ણ કર્નલ પદ માટે પસંદ કરવા હેતુ ચાલુ વર્ષની શરૂઆતથી લઇને અંત સુધી કુલ ચાર વખત (જાન્યુઆરી, માર્ચ, ઓક્ટોબર અને વર્ષના અંતમાં) પ્રમોશન બોર્ડ (પ્રમોશન બોર્ડ-3)ની રચના કરવામાં આવી હતી. જેમાં સિનિયર અને અનુભવી લશ્કરી અધિકારીઓની ટીમ સામેલ કરવામાં આવી હતી.
જે મહિલાઓએ કાયમી નિમણૂક સાથે કર્નલના પદ માટે અરજી કરી હતી તેમના દ્વારા તેમના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અને તે પછી તેમને કાયમી નિમણૂક સાથે કર્નલની મહત્વપૂર્ણ પોસ્ટ આપવામાં આવી હતી. જાન્યુઆરી-2023માં બેઠેલા પ્રમોશન બોર્ડે કાયમી નિમણૂક સાથે કર્નલના પદ માટે કુલ 108 મહિલાઓની પસંદગી કરી હતી.
આ પછી માર્ચમાં બોર્ડની બેઠક ફરી મળી અને છ મહિલાઓની પસંદગી કરી અને ત્યારબાદ ઓક્ટોબરમાં કર્નલના પદ માટે વધુ છ મહિલાઓની પસંદગી કરવામાં આવી. આ પછી, વર્ષના અંતે, સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ રચાયેલ સ્પેશિયલ એપોઇન્ટમેન્ટ બોર્ડ-2 દ્વારા કુલ આઠ મહિલાઓને કર્નલ રેન્ક સાથે કાયમી નિમણૂક આપવામાં આવી હતી. જેની સાથે આ કુલ આંકડો 128 થઈ જાય છે.
નોંધનિય છે કે, મહિલાઓ શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) દ્વારા સેનામાં જોડાય છે. સુપ્રીમ કોર્ટના 2020ના નિર્ણય પહેલા, તેઓ જોડાયા પછી 10 કે 14 વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપી શકતા હતા. આ સમયગાળા દરમિયાન તે માત્ર લેફ્ટનન્ટ કર્નલના પદ સુધી પહોંચી શકી હતી. પરંતુ હવે તેમને કાયમી નિમણૂક માટે અરજી કરવાની અને સેનામાં તેમની સેવાઓ ચાલુ રાખવાની પણ તક મળશે. જે બાદ રેન્ક મુજબ નિવૃત્તિ પર તેમને પેન્શન અને અન્ય ભથ્થાઓ પણ મળશે.