jharkhand politics : રાજભવન પહોંચ્યા બાદ હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમના સ્થાને ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. ચંપઈને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હેમંત સોરેનની ઇડીએ ધરપકડ કરી છે. ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું કે CM હેમંત સોરેને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ચંપઈ સોરેનને વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો અમારી સાથે છે. જેએમએમ અને કોંગ્રેસ રાજ્યમાં સહયોગી છે.
ચંપઈ ઝારખંડના ટાઇગર તરીકે લોકપ્રિય છે. તેમને રાજ્યના ખૂબ જ વરિષ્ઠ નેતા માનવામાં આવે છે પરંતુ તેઓ હેમંત સોરેનના પરિવાર સાથે જોડાયેલા નથી. રાજભવનમાંથી બહાર આવ્યા પછી ચંપઈ સોરેને કહ્યું કે અમે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. અમે 43 ધારાસભ્યોના સમર્થન સાથે ગયા હતા. જેએમએમના ધારાસભ્ય આલમગીરે કહ્યું કે અમારી પાસે 47 ધારાસભ્યો છે, અમે 43 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો છે. તેમણે અમને જલ્દી સમય આપવા કહ્યું છે.
હેમંત સોરેને ઈડીના અધિકારીઓ સામે એએફઆઈઆર નોંધાવી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન તરફથી મોટો કાનૂની દાવ રમવામાં આવ્યો છે. તેમણે ઈડીના અધિકારીઓ સામે એસસી-એસટી એક્ટ અંતર્ગત એએફઆઈઆર નોંધાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એફઆઈઆર સીએમ સોરેને એસસી-એસટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. દિલ્હીમાં ઈડીના અધિકારીઓએ સીએમ સોરેનના આવાસ પર દરોડા પાડ્યા હતા, ત્યાંથી પણ મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. હવે આ જ કાર્યવાહી સામે તેમના વતી આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો – કલ્પના સોરેન કેમ અચાનક ચર્ચામાં આવી? જાણો લગ્ન, શિક્ષણથી લઈને તેની મિલકત વિશે બધુ જ
ઝારખંડ જમીન કૌભાંડનો સંપૂર્ણ કેસ શું છે?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રાંચીમાં આર્મીના કબજા હેઠળની 4.55 એકર જમીનની ગેરકાયદેસર ખરીદી અને વેચાણનો પર્દાફાશ કર્યો હતો. ઈડીએ આ કેસમાં રાંચીના બડગાઇ ઝોનના રેવન્યુ સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદની ધરપકડ કરી હતી. તેમના નિવાસસ્થાન અને મોબાઇલ ફોનમાંથી મોટી માત્રામાં સત્તાવાર દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોની તપાસ અને તેનાથી જોડાયેલા તથ્યોની ચકાસણીને લઇને એજન્સી હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝારખંડ પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી અનેક એફઆઈઆરના આધારે પ્રદીપ બાગચી, વિષ્ણુકુમાર અગ્રવાલ, ભાનુ પ્રતાપ પ્રસાદ અને અન્યો સામે મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ કેસ નોંધીને ત્રણ જમીન કૌભાંડોની તપાસ શરૂ કરી હતી.
અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
ઇડીએ આ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ સરકારી અધિકારીઓની મિલીભગતથી ભૂમાફિયાઓની તરફેણમાં આ પ્લોટો છેતરપિંડીથી ટ્રાન્સફર કર્યા હતા.
અત્યાર સુધીમાં જે 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં પ્રદીપ બાગચી, સદ્દામ હુસૈન, તલ્હા ખાન, અફસર અલી, ઇમ્તિયાઝ અહેમદ, ફૈયાઝ ખાન, ભાનુ પ્રતાપ પ્રસાદ, છવી રંજન, આઈએએસ (પૂર્વ ડીસી રાંચી, દિલીપ કુમાર ઘોષ, વિષ્ણુ કુમાર અગ્રવાલ, અમિત કુમાર અગ્રવાલ સામેલ છે. રૂપિયાની વાત કરીએ તો ઈડીની ટીમે આ સમગ્ર મામલામાં અત્યાર સુધી 236 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.