Lok Sabha Election 2024 : જનતા દળ (સેક્યુલર)ના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ આગામી લોકસભા ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જનતા દળ (સેક્યુલર) 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ મંગળવારે એનડીએ સાથે કોઈપણ ચૂંટણી જોડાણની સંભાવનાને નકારી કાઢી હતી.
દેવગૌડાના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેમની પાર્ટી વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભાજપ સાથે મળીને કામ કરશે. જેના કારણે આવતા વર્ષે યોજાનારી ચૂંટણી માટે બંને પક્ષો હાથ મિલાવે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે દેવગૌડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જેડીએસ પોતાના દમ પર લોકસભા ચૂંટણી લડશે. અમે પાંચ, છ, ત્રણ, બે કે એક બેઠક ભલે જીતીએ અમે એકલા હાથે લોકસભાની ચૂંટણી લડીશું. અમે અમારા કાર્યકરો સાથે ચર્ચા કર્યા પછી ફક્ત તે જ સ્થળોએ ઉમેદવારો ઉભા રાખીશું જ્યાં મજબૂત છીએ.
આ પહેલા કુમારસ્વામીએ કહ્યું હતું કે પાર્ટી સુપ્રીમો એચ ડી દેવગૌડાએ તેમને પાર્ટીના સંબંધમાં કોઈ પણ સત્તાવાર નિષ્કર્ષ કાઢવાની મંજૂરી આપી દીધી છે અને તેના પર ચર્ચા માટે સંસદની ચૂંટણીમાં હજુ ઘણો સમય છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા જેડી(એસ) દ્વારા એનડીએ સાથે ગઠબંધન કરવાની સંભાવનાના અહેવાલો વચ્ચે જેડીએસ કાઉન્સિલ પાર્ટીની બેઠકમાં થયેલી વાતચીત પછી કુમારસ્વામી મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : જો વિપક્ષ એક થઈ જાય તો પણ આ 3 મોટા સવાલ પરેશાન કરશે? જવાબ શોધવા મુશ્કેલ
કુમારસ્વામીએ કહ્યું કે મેં વિધાનસભાની અંદર અને બહાર સ્પષ્ટ પણે કહ્યું છે, કારણ કે ભાજપ અને જેડી (એસ) બંને વિપક્ષી દળ છે, રાજ્યની ભલાઇ માટે એકબીજાને સહકાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે જ અમારા પક્ષના ધારાસભ્યોએ એ વિશે વાત કરી કે કેવી રીતે આગળ વધવું છે. તેમણે કહ્યુ કે ચૂંટણીમાં હજુ 11 મહિના બાકી છે, જ્યારે ચૂંટણી આવશે તો જોવામાં આવશે. પાર્ટી અધ્યક્ષ દેવગૌડાએ મને પાર્ટી વિશે કોઈ પણ સત્તાવાર નિષ્કર્ષ કાઢવાની મંજૂરી આપી છે.
આ દરમિયાન ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે ભાજપ અને જેડી(એસ) સરકારને અસ્થિર કરી રહ્યા છે. તેઓ તેમના રાજકીય લાભ માટે કેટલીક રાજકીય પ્રક્રિયાઓ બનાવી રહ્યા છે તેમ છતાં કશું પણ કામ આવશે નહીં. અમારી સરકાર નક્કર અને સ્થિર છે.





