Madhya Pradesh Assembly Elections 2023 : આગામી મહિને યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઇને પાર્ટીઓ વચ્ચેની ખેંચતાણને કારણે હવે કોંગ્રેસને વિપક્ષી ગઠબંધન પક્ષો સાથે લડવું પડશે. આ પાર્ટીઓમાં આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને જનતા દળ (યુનાઇટેડ)નો સમાવેશ થાય છે. રાજ્યની કુલ 230 બેઠકોમાંથી 92 બેઠકો એવી છે જ્યાં આવી સ્થિતિ પ્રવર્તે છે.
સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી 26 બેઠકો પર સ્પર્ધામાં
સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી 92માંથી 26 વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી મેદાનમાં છે. ત્રણમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી અને જનતા દળ (યુનાઇટેડ)ના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ડિયાના પક્ષોમાં તેમના ગઠબંધન અંગે મતભેદો છે અને તે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વધી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ કહે છે કે બેઠકોની વહેંચણી લોકસભાની ચૂંટણી માટે છે, જ્યારે અન્ય લોકો માને છે કે ભાજપને હરાવવા માટે સાથે મળીને કામ કરવું તે મોટો વિચાર છે – પછી ભલે તે રાજ્યની હોય કે રાષ્ટ્રીય ચૂંટણી.
રાજનગરમાં ચારેય વિપક્ષી પાર્ટીઓ મેદાનમાં જોવા મળશે
સૌથી રસપ્રદ મુકાબલો છતરપુર જિલ્લાના રાજનગરમાં થશે, જ્યાં ચારેય વિપક્ષી પાર્ટીઓ મેદાનમાં જોવા મળશે. અહીં કોંગ્રેસ 732 મતોના નજીવા અંતરથી જીત મેળવી હતી. 2018માં રાજનગરમાં સપાને 23,783 મત મળ્યા હતા. આ મતવિસ્તાર એવા નવ મતવિસ્તારોમાંથી એક છે જ્યાં ગયા વખતે કોંગ્રેસ નજીવા અંતરથી જીતી હતી અને જ્યાં ઓછામાં ઓછું આમ આદમી પાર્ટી, સપા અથવા જેડી (યુ) મેદાનમાં છે. ગ્વાલિયર દક્ષિણમાં કોંગ્રેસે માત્ર 121 વોટથી જીત મેળવી હતી અને આ વખતે તેને આમ આદમી પાર્ટી સાથે સ્પર્ધા કરવી પડી રહી છે. જેડી(યુ)એ જબલપુર નોર્થથી પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જ્યાં ગત વખતે કોંગ્રેસ માત્ર 578 વોટથી જીત્યું હતું.
આ પણ વાંચો – અમિત શાહની તેલંગાણાને મોટી ભેટ, પછાત વર્ગના મુખ્યમંત્રી બનાવવાનું આપ્યું વચન
ઘણી બેઠકો પર ગત વખતે કોંગ્રેસ નજીવા અંતરથી ચૂંટણી હારી હતી
આ પક્ષો એ જ રીતે છ બેઠકો પર કોંગ્રેસની સંભાવનાઓને નુકસાન પહોંચાડી શકે છે, જ્યાં 2018માં કોંગ્રેસ નજીવા અંતરથી હારી ગઈ હતી. આવી જ એક બેઠક આ જ નામના જિલ્લાની મૈહર છે. જ્યાં કોંગ્રેસ ભાજપ સામે 2984 મતોથી હારી ગઈ હતી. ગત વખતે સપાને 11,202 અને આપને 1,795 મત મળ્યા હતા. બંને આ વખતે ફરી મેદાનમાં છે. સિંગરૌલી આવી જ એક બેઠક છે જ્યાં 2018માં કોંગ્રેસ 3726 વોટથી હારી ગઇ હતી. અહીં આપને 32,167 વોટ અને એસપીને 4680 વોટ મળ્યા હતા. આ વખતે બંને પક્ષો ફરી ચૂંટણી લડી રહ્યા છે.
આપ પાર્ટીએ 70 અને સમાજવાદી પાર્ટીએ 43 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
આપ પાર્ટીએ 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, સમાજવાદી પાર્ટીએ 43 અને જેડી(યુ)એ 10 નામોની જાહેરાત કરી છે. ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસ સોમવાર સુધીમાં વધુ નામો જાહેર થાય તેવી શક્યતા છે. સમાજવાદી પાર્ટીના 19 ઉમેદવારો એવા વિસ્તારોમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જે પાંચ વર્ષ પહેલા કોંગ્રેસે જીતી હતી. 2018માં સમાજવાદી પાર્ટીએ 52 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ માત્ર એક જ સીટ પર જીત મળી હતી. આમ આદમી પાર્ટીએ 208 વિધાનસભા ક્ષેત્રોમાં ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ તેના લગભગ તમામ ઉમેદવારોના જમાનત જપ્ત થઇ હતી. આપનો ઓવરઓલ વોટ શેર ૦.66 ટકા હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં જેડી(યુ)એ ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા.
ગત સપ્તાહે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે જાહેરમાં બબાલ થઇ હતી. કોંગ્રેસ સમાજવાદી પાર્ટીને મધ્ય પ્રદેશમાં કોઈ બેઠક આપવા તૈયાર ન હતી. સમાજવાદી પાર્ટીને 12 બેઠકો જોઈતી હતી પરંતુ કોંગ્રેસ તે બેઠકો પર પોતાના ઉમેદવારો જાળવી રાખવાના પક્ષમાં હતી. કોઈ પણ રીતે બેઠકોની વહેંચણી નહીં કરવાના કોંગ્રેસના આગ્રહને કારણે સપા સુપ્રીમો અખિલેશ યાદવને આરોપ લગાવવાની તક મળી છે કે તેઓ પોતાની પાર્ટી સાથે દગો કરી રહ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે જો તેમને ખબર હોત કે ગઠબંધન રાજ્ય સ્તરે નથી તો તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દિગ્વિજય સિંહ અને કમલનાથને મળવા માટે તેમના પ્રતિનિધિઓને મોકલ્યા ન હોત.





