Parliament Monsoon Session: કોંગ્રેસે ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારને ઘેરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસની યાદીમાં મણિપુર હિંસાનો મુદ્દો સૌથી મહત્વનો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે ગૃહમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ. પહેલો મુદ્દો મણિપુરનો છે. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાનની હાજરીમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા થાય. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. ઉપરાંત સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર UCC (યુસીસી) બિલને ગૃહમાં લાવવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં મોદી સરકાર માટે યુનિકોટ સિવિલ કોડ બિલ પાસ કરવું સરળ નહીં હોય, કારણ કે કોંગ્રેસ જ્યારે આ નવ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરશે ત્યારે સ્વાભાવિક છે કે સંસદનું ચોમાસુ સત્ર ખૂબ જ તોફાની બનશે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, પ્રત્યક્ષ કે આડકતરી રીતે મોદી સરકાર કે મોદી સરકારના નિમણુંક વ્યક્તિઓ દ્વારા સંઘીય માળખું, ચૂંટાયેલી સરકારો પર હુમલો કરવામાં આવી રહ્યા છે. અમે તેનો વિરોધ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું. જયરામ રમેશે જણાવ્યું કે આજે અમારા ‘પાર્લામેન્ટરી સ્ટ્રેટેજી ગ્રૂપ’ની બીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમે ચોમાસુ સત્ર વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે અમે સંસદમાં જે મુદ્દા ઉઠાવવાના છે તેના પર અમે ચર્ચા કરી. આ નવ મુદ્દા છે જેના પર અમે ચર્ચા કરવા માંગીએ છીએ.
મણિપુર હિંસા
મણિપુરમાં 3 મેથી કુકી અને મેઇતેઇ સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોના મોત થયા છે, ઘણા ઘાયલ થયા છે અને હજારો લોકોને રાજ્યમાંથી પલાયન કરવાની ફરજ પડી છે. આ અંગે રાહુલ ગાંધીએ શનિવારે ટ્વિટ કરીને પીએમના મૌન પર નિશાન સાધ્યું હતું.
રાહુલે લખ્યુ, મણિપુર ભડકે બળી રહ્યુ છે. યુરોપિયન સંસદે પણ ભારતની આંતરિક બાબતો પર ચર્ચા કરી. પીએમ એ આ મુદ્દે એક પણ શબ્દ કહ્યુ નથી. રાફેલે પીેમને બેસ્ટિલ ડે પરેડની ટિકિટ અપાવી દીધી. રાહુલની ટ્વિટ પર ભાજપના કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વળતો પ્રહાર કર્યો. સ્મૃતિએ રાહુલને રાજવંશનો હારેલો વ્યક્તિ ગણાવ્યો. ઇરાનીએ લખ્યુ – એક વ્યક્તિ જે ભારતની આંતરિક બાબતોમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ ઇચ્છે છે. જ્યારે આપણા વડાપ્રધાને રાષ્ટ્રીય સમ્માન મળે છે તો રાજવંશનો તે હારેલો વ્યક્તિ ભારતની મજાક ઉડાવે છે. લોકોએ તેને નકારી દીધો છો. સ્મૃતિના નિવેદન પર કોંગ્રેસ જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યુ – સ્મૃતિ જી પીએમને કહો કે આ મુદ્દે વાત કરે. વડાપ્રધાન દુનિયામાં ફરી રહ્યા છે પરંતુ મણિપુર મુદ્દે એક મિનિટ વાત કરી રહ્યા નથી.
રેલવે ટ્રેન સુરક્ષા
ઓડિશાના બાલાસોરમાં 2 જૂનના રોજ એક ભયાનક ટ્રેન અકસ્માતમાં 292 લોકો માર્યા ગયા હતા. અકસ્માતની તપાસ કરી રહેલી સીબીઆઈએ આ મામલે કાર્યવાહી કરતા ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે. આ કર્મચારીઓની આઈપીસી કલમ 304 (બિન ઇરાદાપૂર્વક હત્યા) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માતમાં ત્રણ ટ્રેનો એકબીજાની અડફેટે આવી ગઈ હતી.આ અકસ્માત બાદ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. તેમજ રેલવે ટ્રેનની સુરક્ષા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
સંઘીય માળખા પર હુમલો
કોંગ્રેસના નેતા જયરામ રમેશે આજે કહ્યું હતું કે મોદી સરકાર અથવા મોદી સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિઓ દ્વારા સંઘીય માળખું, ચૂંટાયેલી સરકારો પર પ્રત્યક્ષ અને આડકતરી રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. અમે તેનો વિરોધ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું.
GSTને PMLA હેઠળ લાવવું
કેન્દ્રીય નાણાં મંત્રાલયે જીએસટીને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ લાવી દીધુ છે. તેનાથી નાના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અખિલ ભારતીય વેપાર મંડળે વડાપ્રધાનને સંબોધિત ભલામણ સેન્ટલ ટેક્સના ડેપ્યુટી કમિશ્નરને સોંપી છે.સંગઠને જીએસટીને PMLA હેઠલ ન લાવવા માંગણી કરી છે. કોંગ્રેસ આ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરી છે.
મોંઘવારી
ગેસ, પેટ્રો-ડીઝલના ભાવ આસમાને છે. રોજબરોજની તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. કોંગ્રેસ વધતી મોંઘવારીને લઈને સરકાર પર પ્રહારો કરતી હોવા છતાં, આ વખતે પાર્ટીએ સંસદના મોનસૂન સત્ર દરમિયાન મોંઘવારી પર ચર્ચા કરવાની રણનીતિ બનાવી છે.
યુપીએ સરકારની યોજનાઓને નબળી પાડવી
કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે યુપીએ સરકાર દરમિયાન જે યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, તેને વર્તમાન મોદી સરકાર નબળી પાડી રહી છે.
મહિલા કુસ્તીબાજોની સતામણી
કોંગ્રેસ ચોમાસુ સત્રમાં મહિલા પાલવાનની સતામણીનો મુદ્દો ઉઠાવશે. કોંગ્રેસ પાર્ટી આ અંગે કેન્દ્ર સરકારને અનેક સવાલો પૂછી શકે છે.
અદાણી હિંડનબર્ગ વિવાદ મુદ્દે જેપીસીની માંગ
અદાણી-હિંડનબર્ગ વિવાદની તપાસ માટે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પાસે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની માંગ કરી રહ્યો છે. 24મી જાન્યુઆરીએ અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપમાં નાણાંકીય કૌભાંડ અને શેર બજારમાં ગેરરીતિ જેવા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં 60% થી વધુનો કડાકો બોલાયો હતો.
અલગ-અલગ રાજ્યોના મુદ્દે ચર્ચા
કોંગ્રેસ દેશના અલગ-અલગ રાજ્યોના મુદ્દા પર પણ ચર્ચા કરશે.