nitish kumar : શનિવારે ઇન્ડિયા એલાયન્સના નેતાઓએ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઇન્ડિયા ગઠબંધનના સંયોજક બનવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. આ દરમિયાન નીતિશ કુમારના પૂર્વ નજીકના સહયોગી અને વર્તમાન ભાજપ નેતા આરસીપી સિંહે તેમના પર પ્રહાર કર્યો છે.
નીતિશ બાબુની માનસિક અને શારીરિક સ્થિતિ સારી નથી: આરસીપી સિંહ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા આરસીપી સિંહે કહ્યું કે નીતિશ બાબુની માનસિક અને શારીરિક સ્થિતિ હવે એવી થઇ ગઇ છે કે તેઓ કોઇ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી શકતા નથી. ઇન્ડિયા ગઠબંધન અંગે આરસીપી સિંહે કહ્યું કે તેમની પાસે ન તો લય છે અને ન તો મેળ છે અને તેમનો તાલમેલ ક્યારેય થશે નહીં.
આરસીપી સિંહે કહ્યું કે તાલમેલ માટે તમારો વિચાર, વિચારધારા અને કાર્યક્રમમાં સમજદારી અને એકતા હોવી જરૂરી છે. પણ એવું કેવી રીતે બની શકે? આ બધાનો એક અલગ એજન્ડા, અલગ વિચારસરણી છે. કોઇએ પોતાનો વંશ ચલાવવો છે તો કોઇએ પરિવારને આગળ વધારવો છે. પરંતુ દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારમાં સામેલ છે અને દરેક વ્યક્તિને પોતાને બચાવવા છે. આવામાં બધાં એકસાથે કેવી રીતે આવી શકે?
આ પણ વાંચો – 15 રાજ્ય, 6700 કિમી અને 100 સીટો, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા
આરસીપી સિંહે કહ્યું કે કન્વીનરનું કામ બધાની વચ્ચે સંકલન કરવાનું છે અને નીતિશ કુમાર એવી સ્થિતિમાં નથી કે તેઓ લોકો વચ્ચે સુમેળ સ્થાપિત કરી શકે. તેમણે કહ્યું કે જ્યારે નીતિશને માઈક આપવામાં આવે છે, ત્યારે તેઓ કંઈ પણ બોલી શકે છે, તેમને પણ ખબર નથી કે તે શું બોલી નાખે છે. આરસીપી સિંહે કહ્યું કે નીતિશ શારીરિક રીતે સક્ષમ અને માનસિક રુપથી એલર્ટ નથી, તો પછી તેઓ કોઈ પણ પદને કેવી રીતે ચલાવી શકે?
નીતિશ કુમારે આપ્યું હતું મોટું નિવેદન
ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ નીતિશ કુમારે નિવેદન આપ્યું હતું કે મને કોઇ પદને લઇને રસ નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જો તમામ પક્ષો સંમત થાય તો જ તેઓ કન્વીનરની ભૂમિકા સ્વીકારશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ઇન્ડિયા ગઠબંધનના સંયોજકના પદને નકારી દીધું હતું.





