Sukhdev Singh Gogamedi Latest News : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા રાજસ્થાન બંધની અસર ઘણા જિલ્લાઓમાં જોવા મળી હતી. હવે તેમની પત્ની શીલા શેખાવતે જાહેરાત કરી છે કે આવતીકાલે પણ રાજસ્થાન બંધ રહેશે. તેમણે કહ્યું કે હું દેશભરમાંથી રાજપૂતોને વધુમાં વધુ સંખ્યામાં અહીં આવવાનું આહ્વાન કરું છું કારણ કે આજે સુખદેવ સિંહને નિશાન બનાવવામાં આવ્યા છે, કાલે આપણામાંથી પણ કોઈ તેમનું નિશાન બની શકે છે.
આ પહેલા દિવસભર ચાલેલા હંગામા બાદ જયપુરના પોલીસ કમિશ્નર બીજુ જ્યોર્જ સાથે રાજપૂત સંગઠનોની થયેલી બેઠકમાં વિરોધ પ્રદર્શન ખતમ થવાની વાત સામે આવી હતી. આ બેઠકમાં ઘણી માંગણીઓ પર સહમતિ સધાઈ હતી. જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આઈપીસીની કલમ 307, 397, 341, 34,3 અને 25(6) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, તપાસ એસએચઓ મનીષ ગુપ્તાને સોંપવામાં આવી છે. એફઆઈઆરમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુખદેવ સિંહ ગોગામેડીએ ગયા વર્ષે જીવના જોખમ અંગે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત પોલીસ મહાનિર્દેશકને જાણ કરી હતી.
આ પણ વાંચો – કોણ છે રોહિત ગોદારા જેણી લીધી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી, લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે શું છે કનેક્શન?
શું હતી માંગણીઓ?
એએનઆઈ સાથે વાત કરતા બસપા ધારાસભ્ય મનોજ ન્યાંગલીએ કહ્યું કે 7-8 માંગણીઓ હતી જેમાં સુખદેવ સિંહ ગોગામેડીને સુરક્ષા પૂરી પાડનારા અધિકારીઓ વિરુદ્ધ તપાસ પણ સામેલ હતી. મનોજ ન્યાંગલીએ કહ્યું કે આ કેસની એનઆઈએની તપાસ અંગે રાજ્યપાલ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. અમે સહમતિ પર પહોંચી ગયા છીએ અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વિરોધને સમાપ્ત કરવા વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર ફરી રહેલા સહમતિ પત્ર મુજબ જયપુર પોલીસ કમિશનર અને રાજપૂત નેતાઓએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રમાણે માંગણીઓ છે.
- આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. લોરેન્સ બિશ્નોઈ, રોહિત ગોદારા અને ગુનાહિત ષડયંત્રમાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ કાર્યવાહી અંગે પણ માહિતી આપવામાં આવે.
- આ કેસની તપાસ એનઆઈએ દ્વારા કરવાની ભલામણ કરવામાં આવશે.
- આ મામલે પોલીસ પ્રશાસનની બેદરકારી પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
- આ કેસની તપાસ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કરવામાં આવશે.
- બેદરકારી અંગે ખાતાકીય તપાસ કરવામાં આવશે, આ તપાસ દરમિયાન સ્ટેશન અધિકારી અને બીટ અધિકારીઓની પોલીસ લાઇનમાં બદલી કરવામાં આવશે.
- સુખદેવસિંહ ગોગામેડીના પરિવારને આર્થિક સહાય અને સરકારી નોકરી અંગે રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવશે.
- ઇજાગ્રસ્ત અજીત સિંહના પરિવારને પણ આર્થિક મદદ કરવામાં આવશે.
- જયપુર અને હનુમાનગઢમાં સુખદેવ સિંહ ગોગામેડીના પરિવારને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
- સુરક્ષા સંબંધિત અરજીઓ 10 દિવસની અંદર સ્વીકારવામાં આવશે.
- સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં જે ગેંગનું નામ સામે આવ્યું છે, અન્ય કેટલાક રાજપૂત નેતાઓ પણ નિશાના પર છે, આ મામલે તપાસ કરવામાં આવશે.





