Article 370 : ગુલામ નબી આઝાદથી લઇને મહેબૂબા મુફ્તી સુધી, જાણો કાશ્મીરના નેતાઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર શું કહ્યું

Article 370 : સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ને રદ કરવાના સરકારના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ તમામ રાજકીય પક્ષો અને નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે

Written by Ashish Goyal
December 11, 2023 17:42 IST
Article 370 : ગુલામ નબી આઝાદથી લઇને મહેબૂબા મુફ્તી સુધી, જાણો કાશ્મીરના નેતાઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર શું કહ્યું
ગુલામ નબી આઝાદ અને ઓમર અબ્દુલ્લા (ફાઇલ ફોટો, સોશિયલ મીડિયા)

Jammu Kashmir Article 370 : સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાને બંધારણીય રીતે માન્ય જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ને રદ કરવાના સરકારના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. કોર્ટે સોમવારે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે આગામી વર્ષે 30 સપ્ટેમ્બર સુધી વિધાનસભા ચૂંટણી કરાવવા માટે પગલા લેવા જોઈએ. કોર્ટના આ નિર્ણય બાદ તમામ રાજકીય પક્ષો અને નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અમે આ નિર્ણયથી સંતુષ્ટ નથી. કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે. હવે આગામી દિવસોમાં ભાજપને કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ અને મુંબઈને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવતા કોઈ રોકી શકશે નહીં. આનાથી સૌથી વધુ નુકસાન ડોગરા અને લદ્દાખ બૌદ્ધોને થશે.

નિરાશ થયા છીએ પણ હતોત્સાહિત નહીં: ઓમર અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ સોમવારે કહ્યું હતું કે બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ કરવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તેઓ નિરાશ થયા છે પરંતુ હતોત્સાહિત થયા નથી. અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હું નિરાશ છું પરંતુ હતોત્સાહિત નથી. સંઘર્ષ ચાલુ રહેશે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને કલમ 370ની જોગવાઈઓને રદ કરવામાં દાયકાઓ લાગી ગયા છે અને તેઓ પણ લાંબી લડાઈ માટે તૈયાર છે.

મહેબૂબા મુફ્તીએ કહ્યું – આ દેશના ધીરજની હાર છે

આ મામલે પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે હિંમત ન હારો, આશા ન છોડો, જમ્મુ-કાશ્મીરમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય એક મુશ્કેલ પગલું છે, તે કોઈ મંજિલ નથી. અમારા વિરોધીઓ ઇચ્છે છે કે અમે આશા છોડી દઈએ અને આ હાર સ્વીકારીએ. આ અમારી હાર નથી, દેશની ધીરજની હાર છે.

આ પણ વાંચો – કલમ 370 રદ મામલો : શું કાશ્મીરમાં ઘર અથવા જમીન ભાડે અથવા ખરીદી શકાય?

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી)ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે કહ્યું કે એક આશા હતી કારણ કે ઘણી બાબતોમાં અમે કહ્યું હતું કે કોર્ટ જે કહેશે તે અંતિમ નિર્ણય હશે. હું મૂળભૂત રીતે કહું છું કે તેને નાબૂદ કરવી ખોટું હતું. આવું કરતી વખતે જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોને પૂછવામાં આવ્યું ન હતું. અમે કોર્ટની વિરુદ્ધ ન જઈ શકીએ પરંતુ અમે જમ્મુ-કાશ્મીરના લોકો આ નિર્ણય પર અફસોસ વ્યક્ત કરીએ છીએ.

ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયને આવકાર્યો

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે આ નિર્ણયને આવકારીએ છીએ. જ્યારે કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે અમે તેનું સમર્થન કર્યું હતું. આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટનો બીજો આદેશ છે કે ત્યાં આગામી સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી થવી જોઈએ, જેમ બને તેમ જલ્દી કરવામાં આવશે. ત્યાંની જનતાને ખુલ્લી હવામાં મતદાન કરવાની તક મળશે. જો ચૂંટણી પહેલા પીઓકે પણ આવશે તો આખા કાશ્મીરમાં ચૂંટણી થશે અને દેશનો એક ભાગ અકબંધ રહેશે.

સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે પોતાના અને જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત વતી ચુકાદો સંભળાવતા કહ્યું કે બંધારણની કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે અને રાષ્ટ્રપતિ પાસે તેને રદ કરવાની સત્તા છે. ટોચની અદાલતે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવાના ઓગસ્ટ 2019ના નિર્ણયની માન્યતાને પણ સમર્થન આપ્યું હતું. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે પૂર્વ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં દેશના અન્ય રાજ્યોની જેમ આંતરિક સાર્વભૌમત્વ નથી. તેમણે કહ્યું કે ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ થઈ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ