Uttarkashi Tunnel Accident Workers Rescue : ઉત્તરકાશીની ટનલમાંમાં 41 મજૂરો છેલ્લા 16 દિવસથી ફસાયેલા છે, તેમને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, સોમવારે NHIDCL ના મેનેજિંગ ડિરેક્ટર મહમૂદ અહેમદે જણાવ્યું હતું કે, ટનલમાં વર્ટિકલ ડ્રિલિંગનું કામ 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. હવે, કામદારોને બહાર કાઢવાના પ્રયાસમાં, રેટ માઈનર્સનું કામ કરનારાઓને તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ કાટમાળ દૂર કરવા અને માર્ગ પહોંળો કરવાનું કામ કરશે. આ કહાનીમાં આપણે જાણીશું કે, રેટ માઇનર્સ કોણ છે અને તેઓ કેવી રીતે કામ કરે છે. રેટ માઈનર્સ પર પણ થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
રેટ માઇનર્સ કોણ છે?
ઝાંસીના રહેવાસી પરસાદી લોધી, રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરવા માટે સિલ્ક્યારા પહોંચેલા રેટ માઈનર્સમાંના એક છે, તેમણે કહ્યું કે, તે પાઈપ દ્વારા અંદર જશે અને કાટમાળ સાફ કરશે, તેમના હાથમાં કોદાળી જેવા સાધનો હશે, આ ખૂબ ગંભીર અને જોખમી કામગીરી માનવામાં આવે છે. તેમણે કહ્યું, “હું છેલ્લા 10 વર્ષથી દિલ્હી અને અમદાવાદમાં આ કામ કરી રહ્યો છું. પરંતુ ફસાયેલા લોકોને બચાવવા મારી પ્રાથમિકતા રહેશે, અમારા માટે ડરવાનું કોઈ કારણ નથી. આ 800mm પહોળી પાઇપ છે અને અમે 600mm હોલમાં પણ કામ કર્યું છે. અહીં લગભગ 12 મીટર કાટમાળ છે, જો તે માત્ર માટી હશે તો તે લગભગ 24 કલાકમાં પૂર્ણ કરીશુ, પરંતુ જો ત્યાં પથ્થર છે, તો તેમાં 32 કલાક કે તેથી વધુ સમય લાગી શકે છે.” અપડેટ માહિતી અનુસાર, રેટ માઈનર્સે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, તેઓએ સાત મીટરનો કાટમાળ દુર કરી દીધો છે, હવે ફસાયેલા કામદારોથી તેઓ માત્ર 5 મીટર જ દુર છે.
ઝાંસીથી આવેલા વિપિન રાજપૂતે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 2-3 વર્ષથી આ કામ કરી રહ્યા છીએ.
કેવી રીતે રેટ માઈનર્સ કામ કરે છે?
આ કોલસો કાઢવા માટેની એક પદ્ધતિ છે. જેમાં ઊંદર જે રીતે તેનું દર બનાવે છે તે રીતે કામ કરવામાં આવે છે, અને કાટમાળ બહાર ફેંકવામાં આવે છે.
શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી (NEHU) ખાતે પર્યાવરણીય અભ્યાસના પ્રોફેસર ઓપી સિંઘે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ઊંદરના દરની જેમ ખોદકામ સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એક બાજુ કટીંગ પ્રક્રિયા અને બીજી બોક્સ-કટીંગ પદ્ધતિ છે. બીજી પદ્ધતિમાં 100 થી 400 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. એકવાર કોલસાની સીમ મળી જાય, પછી ઉંદરોના દર જેવા આકારની ટનલ ખોદવામાં આવે છે.
રેટ માઈનિંગ પદ્ધતિ કેમ ખતરનાક માનવામાં આવે છે?
રેટ માઈનર્સ ની આ પદ્ધતિને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને તે પર્યાવરણ માટે જોખમી હોવાનું માનવામાં આવે છે. કારણ કે ખાણો સામાન્ય રીતે અનિયંત્રિત હોય છે, યોગ્ય વેન્ટિલેશન અને સલામતીનાં પગલાંનો પણ અભાવ હોય છે.
અંદર ગયેલા કામદારો માટે અનેક પ્રકારના જોખમો સર્જાવાની આશંકા છે. અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ ખાણકામની આ પદ્ધતિને એકદમ ખતરનાક માનવામાં આવી રહી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ 2014 માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે, એવા ઘણા કિસ્સાઓ છે, જેમાં વરસાદની મોસમમાં ઘણા કામદારોના મોત થયા છે.