Air India Flight Faces Technical Issue : તમિલનાડુના ત્રિચી એરપોર્ટથી શારજાહ જઇ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાનમાં 140 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આવી સ્થિતિમાં વિમાન એરપોર્ટ પર લેન્ડ કરી શક્યું ન હતું, પરંતુ આવા સમયે પાયલટે પોતાની સમજ બતાવીને સુરક્ષિત લેન્ડિંગ કરીને તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવ્યા હતા.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાના વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. આ કારણે પ્લેન લેન્ડ થઇ શક્યું ન હતું. સુરક્ષાને કારણે ત્રિચી એરપોર્ટને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું અને સંભવિત અકસ્માતોને કાબૂમાં લેવા માટે એરપોર્ટ પર 20થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તૈનાત કરવામાં આવી હતી. જેનાથી સંભવિત દુર્ઘટનાને કંટ્રોલ કરી શકાય.
પ્લેનનાં હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી
ત્રિચી એરપોર્ટના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટમાં 140 યાત્રી સવાર હતા. પ્લેન શારજાહ માટે સાંજે 5.40 કલાકે ઉડ્યું હતું પણ વિમાન જેવું રનવેથી હવામાં પહોંચ્યું તો તેના હાઇડ્રોલિક સિસ્ટમમાં ખરાબી આવી ગઇ હતી. આ પછી પાયલટે ઇમરજન્સી જાહેર કરતા એરપોર્ટ મેનેજમેન્ટને સૂચના આપી હતી.
આ પણ વાંચો – દલિતો પર ધ્યાન, જાટ અને 2 ડેપ્યુટી સીએમનું સન્માન, કેવું હશે હરિયાણાની સૈની સરકારનું કેબિનેટ?
સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ
એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્લેનને લેન્ડિંગમાં સમસ્યા આવી રહી હતી. ઇંધણ ઓછું કરવા માટે વિમાનને હવામાં ઉડાવવામાં આવ્યું હતું. વિમાન લગભગ અઢી કલાક સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું હતું. ત્રિચી એરપોર્ટ પાસે ચક્કર કાપવાના કારણે 140 મુસાફરોના જીવ અટવાયા હતા. આ કટોકટીની સ્થિતિને જોતા એરપોર્ટ પર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યા હતા અને દરેકને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા હતા.
મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો
ન્યૂઝ એજન્સી અનુસાર આ એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન ત્રિચી એરપોર્ટ પર લાંબા સમય સુધી હવામાં ચક્કર લગાવ્યા બાદ રાત્રે 8:20 વાગ્યે લેન્ડ થયું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર ડીજીસીએ વિમાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું હતું. આ સાથે એરપોર્ટને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું હતું. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો





