Arvind Kejriwal Sugar Levels : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે. કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમને કોર્ટમાંથી રાહત મળી નથી. આ દરમિયાન તેમના સ્વાસ્થ્યને લઇને સતત અનેક અપડેટ સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે જેલની અંદર કેજરીવાલનું શુગર ઘણું વધી ગયું છે. હવે રાઉઝ એવન્યુ કોર્ટમાં ઈડી તરફથી હાજર રહેલા વકીલે ઘણા મોટા દાવા કર્યા છે.
ઇડીના વકીલે કહ્યું – જેલનું ખાવાના કારણે કેજરીવાલનું શુગર વધ્યું નથી
ઈડીના વકીલ ઝુહૈબ હુસૈને કહ્યું છે કે જેલના ખાવાના કારણે કેજરીવાલની શુગર વધી નથી, પરંતુ તેમને તેમના ઘરેથી દરરોજ બટાકા-પુરી, કેરી અને મીઠાઈઓ આપવામાં આવી રહી છે. ઇડીએ દાવો કર્યો કે તે મેડિકલ આધાર પર જામીન મેળવવા માટે જાણી જોઈને મીઠાઇ ખાઇ રહ્યા છે. જેથી તેમનું શગુર લેવલ વધે અને તેમને મેડિકલના આધારે જામીન મળી જાય.
કોર્ટ સામે ઇડીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને ટાઇપ 2 ડાયબિટીસ છે પણ તે જેલમાં બટાકા-પુરી, કેરી અને મીઠાઇ ખાઇ રહ્યા છે. તે આવું જાણી જોઇને કરી રહ્યા છે. આ એક રીતે મેડિકલના આધારે જામીન લેવાની રીત છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા PM મોદીનો BJP-NDA ઉમેદવારોને પત્ર
કેજરીવાલના વકીલે આ દલીલોને નકારી કાઢી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે આ બધું મીડિયાને નિવેદન આપવા માટે જ કહેવામાં આવી રહ્યું છે. હાલ તો જનસત્તા પાસે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલો એક મહત્વનો દસ્તાવેજ પણ ઉપલબ્ધ છે. દસ્તાવેજમાં કેજરીવાલને જેલમાં શું આપવામાં આવી રહ્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેજરીવાલને ઘરનું ભોજન પણ આપવામાં આવી રહ્યું છે
જેલમાં અરવિંદ કેજરીવાલને રાજમા, રોટલી, શાકભાજી, સલાડ, મગની દાળ, પૌંઆ જેવી અનેક વસ્તુઓ પણ મળી રહી છે. આ સાથે જ કેજરીવાલને ઘરનું રાંધેલું ભોજન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
હવે વધેલા શુગર લેવલનો હવાલો આપતા કેજરીવાલના વકીલે કહ્યું છે કે ડોક્ટરના નિર્દેશ પર જ સીએમને ભોજન આપવામાં આવી રહ્યું છે. એમ કહેવું કે ઘરે બનાવેલા ખોરાકને કારણે શુગર વધી છે તે ખોટું છે. હાલ તો કોર્ટે કેજરીવાલના ભોજન અંગે જેલ પ્રશાસન પાસે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. સીએમને પણ એ કહેવામાં આવ્યું છે કે કોર્ટને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવો. હવે આવતીકાલે એટલે કે શુક્રવારે બપોરે બે વાગ્યે આ મામલે ફરી સુનાવણી થવા જઈ રહી છે.





