bangladesh violence : બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા હવે બેકાબૂ બની ગઈ છે. શેખ હસીનાના રાજીનામા બાદ પણ છેલ્લા 24 કલાકમાં 100થી વધુ લોકોના મોત થયા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. આ સિવાય હિંદુ મંદિરો ઉપર હુમલા પણ શરૂ થઈ ગયા છે, સતત આગચંપીના સમાચાર આવી રહ્યા છે. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં થયેલી હિંસા પર લોકસભામાં વિસ્તૃત જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓનો એક જ એજન્ડા હતો, તેઓ શેખ હસીનાનું રાજીનામું ઇચ્છતા હતા. શેખ હસીનાએ વિનંતી કરી હતી કે તે થોડો સમય ભારતમાં રહેવા માંગે છે. પોતાના સેના પ્રમુખો સાથે વાત કર્યા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ખૂબ જ ઓછા સમયમાં તેમણે ભારત આવવાનો નિર્ણય કર્યો હતો.
સર્વપક્ષીય બેઠક મળી
જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે બાંગ્લાદેશના આર્મી ચીફ સાથે સતત સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશમાં જે પણ સરકાર બનશે, તેનાથી ભારતના લોકોને સુરક્ષા મળશે. હવે જાણકારી માટે જણાવી દઈએ કે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક થઈ ચૂકી છે. સરકારે તમામ પક્ષોને પોતાનું વલણ જણાવી દીધું છે. તમામ નેતાઓ પણ કેન્દ્રની સાથે મજબૂતીથી ઉભેલા જોવા મળી રહ્યા છે. બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ કહ્યું છે કે તેઓ આ મુદ્દે સરકારને સમર્થન આપે છે.
આ પણ વાંચો – કોણ છે શેખ હસીના, માતા-પિતા અને ત્રણ ભાઇઓની હત્યા, માનવામાં આવે છે ભારતની નજીક
કેવી રીતે થઈ હતી પુરી તૈયારી?
આમ જોવા જઈએ તો શેખ હસીનાનું ભારત આવવું પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે બપોરે 12 વાગ્યે મોદી સરકારની એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં પહેલાથી જ જણાવવામાં આવ્યું હતું કે હસીના ભારત આવવા માંગે છે. ત્યારબાદ તેમની સુરક્ષા માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવી, રાફેલને પણ સક્રિય કરવામાં આવ્યું હતું. શેખ હસીનાનું વિમાન દિલ્હીના બદલે હિંડન એરબેઝ પર ઉતર્યું હતું.
હિંડન પર લેન્ડિંગ કેમ?
ભારતની સુરક્ષા એજન્સીઓએ શેખ હસીનાનું લોકેશન અંત સુધી સિક્રેટ રાખવાનું હતું. દિલ્હી એક એવી જગ્યા છે, જેની જાણકારી બધાને છે અને તે સાર્વજનિક છે. પરંતુ સેના અને એજન્સીઓ કોઈ પણ કિંમતે શેખ હસીનાના લોકેશનની જાણકારી કોઈને આપવા માંગતી ન હતી. આ કારણે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતુ.
દિલ્હીથી દૂર કેમ?
એ પણ સમજવા જેવું છે કે આમ પણ દિલ્હીમાં વીઆઈપી મૂવમેન્ટ વધારે હોવાથી શેખ હસીનાની સુરક્ષા એક પડકાર બની શક્યો હોત. આ કારણે પણ ગાઝિયાબાદ તેમના માટે વધુ યોગ્ય માનવામાં આવતું હતું, ત્યાં પણ હિંડન એરબેઝ પર તેમના માટે વધુ વ્યવસ્થા કરી હતી. એક ઇનપુટ એ પણ બહાર આવી રહ્યા છે કે ભારત પાસે અગાઉની માહિતી હતી કે શેખ હસીના ભારત આવશે. આવી સ્થિતિમાં જેવું તેમનું વિમાન ભારતના ક્ષેત્રમાં આવ્યું કે તરત જ તેનું ટ્રેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.





