RSS : કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ગતિવિધિઓમાં ભાગ લેવા પર લાગેલો પ્રતિબંધ હટાવી લીધો છે. 1966માં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. 58 વર્ષ બાદ કેન્દ્ર સરકારે તેને રદ કરી દીધો છે. આરએસએસનો ઉલ્લેખ 30 નવેમ્બર 1966, 25 જુલાઈ 1970 અને 28 ઓક્ટોબર 1980ના વિવાદિત ઓફિસ મેમોરેન્ડમમાંથી દૂર કરવો જોઈએ. આખરે હવે આપણે જાણીશું કે 1966માં તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારે શું આદેશ આપ્યો હતો, જેના કારણે સરકારી કર્મચારીઓને સંઘમાં જોડાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો કારણકે 7 નવેમ્બર 1966ના રોજ સંસદમાં મોટા પાયે ગૌ હત્યા વિરોધી પ્રદર્શન થયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લોકોની મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી અને પોલીસ ગોળીબારમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
અમિત માલવિયાએ વધુમાં જણાવ્યું હતું કે 30 નવેમ્બર, 1966ના રોજ ઇન્દિરા ગાંધીએ આરએસએસ અને જનસંઘના પ્રભાવશાળી અસરને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓને આરએસએસના કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુક્યો હતો. માલવીયએ એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પોતે આરએસએસ પાસે પહોંચ્યા હતા અને તેમના ચૂંટણી પ્રચારના બદલામાં તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે તેઓ આ પ્રતિબંધ પાછો ખેંચી લેશે.
1966નો આદેશ શું હતો?
હવે જો 1966ના આદેશની વાત કરીએ તો તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીએ કોઈ પણ સરકારી કર્મચારીને સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ગૌરક્ષા આંદોલન બાદ થયેલી હિંસા બાદ પીએમએ આ આદેશ આપ્યો હતો. આમાં અનેક સંતો અને ગૌભક્તોએ જીવ ગુમાવ્યો હતો. આ હિંસા બાદ જ સરકારે નિર્ણય લીધો કે સરકારી કર્મચારીઓ આરએસએસના કાર્યક્રમોમાં ભાગ નહીં લઈ શકે. આ આદેશનો સીધો અર્થ એ હતો કે સરકારી કર્મચારીઓએ કોઈ પણ સાંપ્રદાયિક સંસ્થાની પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.
આ પણ વાંચો – એલોન મસ્કે AI Fashion Show નો વીડિયો શેર કર્યો, પીએમ મોદી, ટ્ર્મ્પ, બાઇડન કરી રહ્યા છે રેમ્પ વોક
7 નવેમ્બર 1966ના રોજ સંસદની ઘેરાબંધીનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સ્તરે ગૌહત્યા પર પ્રતિબંધ મુકવાની માગણી હતી. ગૌ રક્ષા મહાસમીતિ દ્વારા સમગ્ર આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક હિન્દુ સંગઠનો અને સંતોએ હાજરી આપી હતી. લગભગ 1,25,000 લોકોએ હાજરી આપી હતી. આ તમામ લોકો દિલ્હીના રસ્તા પર ઉતરી આવ્યા હતા. આંદોલનમાં હિંસા ભડકી ઉઠી હતી. આ બધા પર કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસ, લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મી સહિત આઠ આંદોલનકારીઓના મોત થયા હતા. આ પછી તત્કાલીન ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદાને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ કાર્યક્રમને વીએચપીએ પણ ટેકો આપ્યો હતો.
કોંગ્રેસે શું કહ્યું
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે ફેબ્રુઆરી 1948માં મહાત્મા ગાંધીની હત્યા બાદ સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ, સારા વર્તનની ખાતરી પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. આ પછી પણ આરએસએસએ નાગપુરમાં ક્યારેય તિરંગો ફરકાવ્યો નથી. 1966માં આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તે યોગ્ય નિર્ણય પણ હતો. 1966માં પ્રતિબંધ લાદવાનો આ એક સત્તાવાર આદેશ છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે આગળ લખ્યું કે 4 જૂન 2024 બાદ પીએમ મોદી અને સંઘ વચ્ચે કડવાશ આવી છે. હવે 58 વર્ષનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તે અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે પણ લાગુ હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે મારું માનવું છે કે અમલદારશાહી હવે શોર્ટ્સમાં પણ આવી શકે છે.





