Hindi Journalism Day 2024 : 30 મે ના રોજ હિન્દી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 30 મે ના રોજ હિન્દી પત્રકારત્વને 198 વર્ષ પૂર્ણ થશે. હિન્દી પત્રકારત્વ કેટલું જૂનું છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એવું માનવામાં આવે છે કે હિન્દી પત્રકારત્વનો ઉદભવ ‘ઉદંત માર્તંડ’ થી થયો છે. 1826માં 30 મે ના દિવસે આ હિન્દી ભાષાના અખબારનું પ્રથમ પ્રકાશન કોલકાતાથી શરૂ થયું હતું. ઉદાંત માર્તંડ એક સાપ્તાહિક સામયિક તરીકે શરૂ થયું. હિન્દી પત્રકારત્વ બંગાળમાં શરૂ થયું, તેનો શ્રેય રાજા રામ મોહન રાયને જાય છે. આજના સમયમાં અખબારો એક મોટો બિઝનેસ બની ગયો છે. મીડિયા આજે પેપરથી આગળ વધીને ન્યુઝ ચેનલ, ડિજિટલ ક્ષેત્રમાં આવી ગયુ છે.
પંડિત જુગલ કિશોર શુક્લા તેના સંપાદક હતા
વ્યવસાયે વકીલ અને યુપીના કાનપુર જિલ્લામાં જન્મેલા પંડિત જુગલ કિશોર શુક્લા તેના સંપાદક હતા. 1820ના દાયકા સુધીમાં બંગાળી, ઉર્દૂ અને ઘણી ભારતીય ભાષાઓમાં અખબારો પ્રકાશિત થવા લાગ્યા. તે જ સમયે બંગાળી દર્પણના કેટલાક ભાગો જે 1819 માં પ્રકાશિત થયા હતા તે હિન્દીમાં પણ પ્રકાશિત થતા હતા. પરંતુ “ઉદંત માર્તંડ” એ હિન્દીના પ્રથમ અખબાર હોવાનું ગૌરવ ઉદંત માર્તંડને મળે છે.
આ અખબાર 8 પાનાનું હતું અને તે દર મંગળવારે પ્રકાશિત થતું
‘ઉદંત માર્તંડ’ ક્રાંતિકારી અખબારોમાંથી એક હતું. આ સાપ્તાહિક અખબાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની દમનકારી નીતિઓની વિરુદ્ધ ખુલ્લેઆમ લખતું હતું. આ અખબાર 8 પાનાનું હતું અને તે દર મંગળવારે પ્રકાશિત થતું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ સમાચાર પ્રકાશિત થવાને કારણે બ્રિટિશ સરકારે આ અખબારના પ્રકાશનમાં અવરોધો મૂકવાનું શરૂ કર્યું હતું. તેમ છતાં પંડિત જુગલ કિશોર શુક્લ નમ્યા ન હતા. તેઓ દર અઠવાડિયે અખબારમાં ધારદાર કલમથી અંગ્રેજો વિરુદ્ધ લખતા હતા.
આ પણ વાંચો – કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ, જાણો ઈતિહાસ, મહત્વ
પહેલા અંકની 500 કોપી છાપવામાં આવી હતી
જાણકારી માટે જણાવી દઈએ કે ‘ઉદંત માર્તંડ’ના પહેલા અંકમાં 500 કોપી છાપવામાં આવી હતી. તે સમયે આ સાપ્તાહિક અખબારમાં વધારે વાચકો ન હતા. એનું કારણ એ હતું કે એની ભાષા હિન્દી હતી. આ અખબાર કોલકાતામાંથી બહાર આવ્યું હતું અને હિન્દી ભાષીઓ બહુ ઓછા હતા એટલે એના વાચકો નહિવત્ હતા. આમ છતાં પંડિત જુગલ કિશોર વાચકો સુધી પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવતા હતા.
આ માટે તેમણે પોસ્ટ દ્વારા અન્ય રાજ્યોમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બ્રિટિશ સરકારે આ અખબારને પોસ્ટલ સુવિધાથી વંચિત રાખવા માટે કોઈ કસર છોડી ન હતી, જેના કારણે અખબારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે 19 મહિના બાદ અખબાર બંધ કરવું પડ્યું હતું. પંડિતજીની આર્થિક મુશ્કેલીઓ અને અંગ્રેજોની કાયદાકીય અડચણોને કારણે 19 ડિસેમ્બર 1827ના રોજ આ અખબારનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું હતું.





