Inequality in India | પવન ઉપરેતી : દેશની 85 ટકાથી વધુ સંપત્તિ ઉચ્ચ જાતિ એટલે કે સામાન્ય વર્ગના લોકો પાસે છે. જ્યારે અનુસૂચિત જાતિ વર્ગના લોકો પાસે માત્ર 2.6 ટકા હિસ્સો છે. આ આંકડા વર્ષ 2022 સુધીના છે. આ માહિતી વિશ્વ અસમાનતા લેબ દ્વારા બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે શેર કરાયેલા સંશોધનમાંથી સામે આવ્યા છે.
આ સંશોધન ચોક્કસપણે સામાજિક-આર્થિક અસમાનતાને પ્રકાશિત કરે છે. સંશોધન એ પણ બતાવે છે કે, દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો બહુ ઓછા લોકો પાસે છે અને આ દર્શાવે છે કે, સામાજિક-આર્થિક અસમાનતાના મૂળ કેટલા ઊંડા છે.
મે 2024 માં બહાર પાડવામાં આવેલ આ સંશોધનને ‘Towards Tax Justice and Wealth Re-distribution in India’ શીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે.
એનએસએસઓ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ દેશમાં ઓબીસી કેટેગરીની વસ્તી 40.94%, એસસી કેટેગરીની વસ્તી 19.59%, એસટી કેટેગરીની વસ્તી 8.63% અને અન્ય કેટેગરીની વસ્તી 30.80% છે.
કુલ સંપત્તિમાં દરેક જાતિનો કેટલો હિસ્સો છે તે નીચે આપેલા કોષ્ટક પરથી સમજી શકાય છે.
આદિવાસી સમુદાયમાંથી કોઈ અબજોપતિ નથી
સાલ | ઉચ્ચ જ્ઞાતિઓનો હિસ્સો (ટકાવારીમાં) | ઓબીસી (ટકાવારીમાં) | દલિત (ટકાવારીમાં) |
2013 | 80.3 | 17.8 | 1.8 |
2014 | 78.1 | 20.0 | 1.9 |
2015 | 78.4 | 17.6 | 4.0 |
2016 | 79.7 | 16.8 | 3.5 |
2017 | 80.1 | 16.1 | 3.7 |
2018 | 81.7 | 14.4 | 4.0 |
2019 | 81.4 | 15.2 | 3.5 |
2020 | 84.3 | 11.6 | 4.1 |
2021 | 86.0 | 10.1 | 3.9 |
2022 | 88.4 | 9.0 | 2.6 |
હિસ્સો અને ભાગીદારીનો પ્રશ્ન
દેશમાં હિસ્સા અને ભાગીદારીનો પ્રશ્ન સતત ઉઠતો રહ્યો છે. આ વખતે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં હિસ્સો અને ભાગીદારીને સૌથી મોટો મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો, એક આર્થિક સર્વે કરવામાં આવશે અને તેના દ્વારા જાણવામાં આવશે કે, દેશના સંસાધનો પર દરેક જાતિ અને સમુદાયનો કેટલો અધિકાર છે.
રાહુલ ગાંધીએ પોતાની ઘણી ચૂંટણી રેલીઓમાં કહ્યું હતું કે, જો ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો આ પહેલું કામ કરશે. પોતાની ચૂંટણી રેલીઓમાં રાહુલ ગાંધીએ પણ સતત કહ્યું કે, ભારતમાં 40 ટકા સંપત્તિ માત્ર એક ટકા લોકો પાસે છે.
ઓક્સફેમ ઇન્ટરનેશનલ રિપોર્ટ
ગયા વર્ષે ઓક્સફેમ ઈન્ટરનેશનલે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને તેમાં એ પણ ખુલાસો થયો હતો કે, ભારતના સૌથી ધનિક 1% લોકો દેશની કુલ સંપત્તિના 40% થી વધુની માલિકી ધરાવે છે. જ્યારે અડધી વસ્તી કુલ સંપત્તિના માત્ર 3% જ સંપત્તિ ધરાવે છે. ઓક્સફેમ ઈન્ટરનેશનલે કહ્યું હતું કે, જો ભારતના દસ ટકા સૌથી ધનાઢ્ય લોકો પર 5% ટેક્સ લાદવામાં આવે તો, તમામ બાળકોને શાળાએ મોકલવા માટે પૂરતા પૈસા જનરેટ થઈ શકે છે.
ઓબીસી હિસ્સો 9%
વિશ્વ અસમાનતા પ્રયોગશાળાના સંશોધનમાં જણાવાયું છે કે, દેશની કુલ સંપત્તિમાં ઓબીસીનો હિસ્સો 9% છે.
રાહુલ ગાંધીએ તેમની ચૂંટણી રેલીઓમાં જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આનાથી ખબર પડશે કે, વિવિધ વિસ્તારોમાં ઓબીસીનો હિસ્સો શું છે. તેમણે કહ્યું કે, દેશમાં 90 ટકા વસ્તી એસસી-એસટી, ઓબીસી અને લઘુમતીઓની છે પરંતુ, તેઓને તેમની વસ્તી મુજબ મીડિયા, ખાનગી સંસ્થાઓ, નોકરશાહી અને કોર્પોરેટમાં ભાગીદારી નથી મળી રહી.
આ પણ વાંચો – ભારતમાં અસમાનતા: 40 ટકા સંપત્તિ ટોચના 1% પૈસાદાર લોકો પાસે, ગરીબ-અમીર વચ્ચેની ખાઈ વધી
નવા અબજોપતિઓ ઉચ્ચ જાતિના
આ સંશોધનમાં સામેલ એક નામ પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અનમોલ સોમાંચીનું છે. સોમાંચી કહે છે કે, આ સંશોધન દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં નવા અબજોપતિ બન્યા છે તે પણ ઉચ્ચ જાતિના છે.
સોમાંચી કહે છે કે, જ્ઞાતિ શિક્ષણ, આરોગ્ય, સોશિયલ નેટવર્ક નક્કી કરે છે. દેશના ઘણા વિસ્તારોમાં દલિતોને જમીન રાખવાની મંજૂરી નથી અને તેનાથી તેમની આર્થિક પ્રગતિ પર અસર પડે છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024: OBC પાસે 39 ટકા સોનું, મુસ્લિમો પાસે 9 ટકા – જાણો કયા સમુદાય પાસે કેટલી સંપત્તિ
‘સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયા 2023’ રિપોર્ટ
આ ઉપરાંત, અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ‘સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા 2023’ શીર્ષકના અહેવાલ મુજબ, ભારતમાં SC અને ST વર્ગના લોકો અન્ય સમુદાયોની તુલનામાં ખૂબ જ ઓછી સંસ્થાઓ ધરાવે છે. એસસી-એસટી સમુદાયો સામે સામાજિક રીતે ભેદભાવ કરવામાં આવે છે અને સંસાધનો, શિક્ષણ અને આર્થિક તકોની ઓછી પહોંચ હોવાનું કહેવાય છે.
કયા વર્ગના કેટલા ઉદ્યોગપતિઓ છે?
સમુદાય નામ | રોજગારની સંખ્યા | ઉદ્યોગપતિ |
એસ.સી. | 19.3 | 11.4 |
એસ.ટી. | 10.1 | 5.4 |
ઓ.બી.સી. | 43.5 | 41.0 |
અન્ય | 27.1 | 42.1 |
કુલ સંપત્તિમાં ઉચ્ચ જાતિના હિંદુઓ પાસે 41% હિસ્સો છે
વર્ષ 2019માં એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ દલિત સ્ટડીઝ દ્વારા 2 વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસ બાદ જણાવવામાં આવ્યું હતું કે, દેશના ઉચ્ચ જાતિના હિંદુઓ, જે 22.3% છે. વસ્તીમાં, તેમની પાસે દેશની કુલ સંપત્તિના 41% છે અને તેઓ સૌથી ધનિક વર્ગ છે. જ્યારે 7.8% હિંદુ આદિવાસીઓ પાસે માત્ર 3.7% મિલકત છે.