Pahalgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પર્યટકો પર હુમલો કર્યો છે. આ હુમલામાં 20થી વધુ નાગરિકોના મોત થયા હતા. મૃતકોમાં બે વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે 5થી 6 આતંકીઓ હતા, જેમણે પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાની માહિતી લીધી છે અને ગૃહમંત્રી અમિત શાહને કાશ્મીર જવા કહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર પહોંચી ગયા છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે.
પ્રવાસીઓ રજાઓ ગાળવા પહેલગામ ગયા હતા
આ હુમલાની ઘણી તસવીર આવી છે જે ઘણી ભયાનક છે. સાથે જ ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. આ દરમિયાન એક પીડિતાનો વીડિયો આવ્યો છે. કર્ણાટકના શિમોગાની રહેવાસી પલ્લવી, તેના પતિ મંજુનાથ અને પુત્ર પણ રજાઓ ગાળવા પહેલગામ ગયા હતા. પલ્લવીના પતિ મંજુનાથને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી.
પલ્લવીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે અમે આજે સવારે પહેલગામ પહોંચ્યા હતા અને ફરતા-ફરતા બૈસરન આવ્યા હતા.
પલ્લવીએ કહ્યું કે મેં મારા પતિને મારી આંખોની સામે જમીન પર પડતા જોયા. મને લાગ્યું કે હું ખરાબ સપનું જોઈ રહી છું. પલ્લવીએ જણાવ્યું કે આતંકીઓ ગોળીઓ ચલાવી રહ્યા હતા અને તેમની સંખ્યા ચારની આસપાસ હતી.
આ પણ વાંચો – ‘હું ભેળપુરી ખાતી હતી, એક વ્યક્તિએ આવીને મારા પતિને ગોળી મારી દીધી’
‘જાઓ તમને જીવતા છોડીએ છીએ, જઈને મોદીને કહી દેજો’
પલ્લવીએ કહ્યું કે મેં આતંકવાદીઓને કહ્યું હતું કે હવે હું અહીં શું કરીશ, મને તો જીવતે જીવ મારી નાખી. હવે મને પણ મારી નાખો. તેના પર એક આતંકીએ કહ્યું કે જાઓ તમને જીવતા છોડીએ છીએ, જઈને મોદીને કહી દેજો.
અમિત શાહ શ્રીનગર પહોંચ્યા
પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ગયા છે. અહીં તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા બેઠક કરી છે. ભારત આતંકીઓ સામે કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે.
પીએમ મોદીએ પણ આ હુમલા પર નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના.
પહલગામ આતંકી હુમલો કરનાર સંગઠન RTF વિશે જાણો
હું પ્રાર્થના કરું છું કે ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે લોકો છે તેમને છોડવામાં આવશે નહીં. તેમની નાપાક હરકતો ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અતૂટ છે અને તે વધુ મજબૂત બનશે.