Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે. દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. મતદાનનો પ્રથમ તબક્કો ૧૯ એપ્રિલે અને અંતિમ તબક્કો ૧ જૂને યોજાશે. મતગણતરી 4 જૂને થશે, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા કેટલાક એવા પ્રમુખ ચહેરા છે જે આગામી ચૂંટણીની દિશા અને દશા નક્કી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબકી બાર 400 પાર નો નારો આપ્યો છે. નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારતના પહેલા એવા વડાપ્રધાન છે જેમણે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી છે. આ વખતે જો તેઓ ચૂંટણી જીતીને ત્રીજી વખત પીએમ પદના શપથ લેશે તો દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના રેકોર્ડની બરાબરી કરી લેશે. ભાજપનો મુખ્ય ચહેરો વડાપ્રધાન મોદી છે અને તેમના ચહેરા પર પાર્ટી છેલ્લા 10 વર્ષથી ચૂંટણી લડી રહી છે અને જીત હાંસલ કરી રહી છે.
અમિત શાહ (Amit Shah)
અમિત શાહ હાલ દેશના ગૃહમંત્રી છે. ગત લોકસભાની ચૂંટણી વખતે તેઓ ભાજપના અધ્યક્ષ હતા ત્યારે એકલા ભાજપે 300 થી વધુ બેઠકો મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો છે તો અમિત શાહ તેની તમામ રણનીતિઓ તૈયાર કરે છે. આ લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર અમિત શાહની નેતૃત્વ ક્ષમતાની કસોટી થશે. તેમને રાજકારણ ચાણક્ય પણ કહેવામાં આવે છે. જો ભાજપ ફરી સત્તા પર આવશે તો તેનીલ સ્ક્રીપ્ટ લખનાર અમિત શાહ જ રહશે.
રાહુલ ગાંધી (Rahul Gandhi)

રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા છે. તેમની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા ખૂબ ચર્ચામાં રહી હતી. રાહુલ ગાંધી અદાણી અને અંબાણી પર પણ આકરા પ્રહારો કરવામાં પાછીપાની કરતા નથી. છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસને ઘણી મોટી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલ ગાંધી જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવીને સમગ્ર દેશનું ધ્યાન દોરી રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવશે.
યોગી આદિત્યનાથ (Yogi Adityanath)
યોગી આદિત્યનાથ હાલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે. યુપીમાં 80 લોકસભા સીટ છે અને અહીં ભાજપનું પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત યોગી આદિત્યનાથ અને તેમની સરકારની કામગીરી પર નિર્ભર કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં યોગી આદિત્યનાથ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ઉભરી આવ્યા છે. માત્ર યુપીમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ તેમની રેલીઓની જબરદસ્ત માંગ છે.
નીતીશ કુમાર (Nitish Kumar)
નીતીશ કુમાર દેશના મોટા નેતાઓમાં સામેલ છે. હાલ તેઓ બિહારના મુખ્યમંત્રી છે. હાલમાં જ તેઓ ભાજપ સાથે જોડાણ કરીને ફરી ચર્ચામાં આવ્યા છે. નીતિશ કુમારને ભારત ગઠબંધનના આર્કિટેક્ટ માનવામાં આવે છે. જો કે હવે તેઓ ભાજપ સાથે છે. આગામી લોકસભા ચૂંટણીમાં બિહારમાં એનડીએનું પ્રદર્શન નીતિશ કુમાર પર નિર્ભર કરશે.
મમતા બેનર્જી (Mamata Banerjee)

મમતા બેનર્જી દેશના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી છે અને ટીએમસી સુપ્રીમો પણ છે. મમતા બેનર્જી ભારત ગઠબંધનનો મુખ્ય ચહેરો છે અને જો વિપક્ષની સરકાર બને છે તો તે પણ વડાપ્રધાનની રેસમાં સામેલ છે. મમતા બેનર્જી બંગાળની તમામ 42 સીટો પર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમણે બંગાળમાં કોંગ્રેસને એક પણ બેઠક આપી નથી.
માયાવતી (Mayawati)
બસપા સુપ્રીમો માયાવતી દેશના સૌથી મોટા દલિત નેતા છે. તેઓ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમની પાર્ટી બસપા ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા સીટ પર ચૂંટણી લડી રહી છે. બસપા દેશના અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી લડી રહી છે. માયાવતીનો દલિત મત બસપા પાસે જ રહે છે, પરિસ્થિતિ ગમે તે હોય. ઉત્તર પ્રદેશ અને દેશની ઘણી લોકસભા બેઠકો પર લોકસભા ચૂંટણીમાં બસપાનું પ્રદર્શન ચોંકાવનારું હોઈ શકે છે.
તેજસ્વી યાદવ (Tejashwi Yadav)
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ રાજ્યના સૌથી લોકપ્રિય નામોમાંથી એક છે. દેશભરમાં તેમની રાજનીતિની ચર્ચા થઈ રહી છે. બિહારમાં પોતાના અગાઉના કાર્યકાળમાં મોટી સંખ્યામાં નોકરીની જાહેરાત કરી તેજસ્વી યાદવ ચર્ચામાં આવ્યા હતા. આગામી લોકસભા ચૂંટણીમાં બિહારમાં આરજેડીનું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
અખિલેશ યાદવ (Akhilesh Yadav)

અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે. તેમની પાર્ટી ઈન્ડિયા ગઠબંધન સાથે છે અને યુપીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશથી નીકળે છે. જો આ ચૂંટણીમાં વિપક્ષનું પ્રદર્શન સારું રહેશે તો તેમાં ઉત્તર પ્રદેશનું ઘણું યોગદાન રહેશે. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં વિપક્ષનો સૌથી મોટો ચહેરો છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : મોદી વારાણસી અને રાહુલ વાયનાડ, જાણો કઇ વીઆઈપી બેઠક પર ક્યારે મતદાન થશે?
અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)
અસદુદ્દીન ઓવૈસી એઆઈએમઆઈએમના ચીફ છે. હાલ તેઓ હૈદરાબાદથી લોકસભાના સાંસદ છે. અસદુદ્દીન ઓવૈસીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વિપક્ષ તેમના પર ભાજપની બી ટીમ તરીકે કામ કરવાનો આરોપ લગાવે છે. અસદુદ્દીન ઓવૈસી મુસ્લિમ સમુદાયમાં ખૂબ લોકપ્રિય છે. દેશની ઘણી મુસ્લિમ બહુમતી ધરાવતી લોકસભા બેઠકો પર તેમની પાર્ટી એઆઇએમઆઇએમનું પ્રદર્શન ઘણું મહત્વનું રહેશે. ગત લોકસભાની ચૂંટણીમાં એઆઈએમઆઈએમને બે બેઠકો મળી હતી. હવે લોકસભા ચૂંટણી 2024 માં કેટલી બેઠક જીતે છે તેના પર નજર રહેશે.





