Lok Sabha Elections 2024 : ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને 18 અને 19 એપ્રિલના રોજ ઉત્તર બંગાળના કૂચ બિહારની યાત્રા ત રદ કરવાની સલાહ આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે અને તે પહેલા આ વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ છે, તેથી તેમની આ યાત્રા ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન હશે.
ચૂંટણી પંચના નિયમો કહે છે કે આદર્શ આચાર સંહિતા મતદાનના 48 કલાક પહેલા લાગુ થઇ જાય છે અને આ દરમિયાન કોઈપણ પ્રકારનો પ્રચાર કરી શકાય નથી. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે આ નિયમો જરૂરી છે. આ ઉપરાંત વીઆઈપી કે નેતાઓની અવરજવરથી સુરક્ષા દળોના કામમાં વધારો ન થાય તે પણ જરૂરી છે.
ટીએમસીએ ચૂંટણી પંચને લખ્યો હતો પત્ર
મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીએમસીએ ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો, જે બાદ ચૂંટણી પંચે રાજ્યપાલ સીવી આનંદા બોઝને આ સલાહ આપી છે. ટીએમસીએ પત્રમાં લખ્યું હતું કે 19 એપ્રિલે કૂચ બિહારમાં મતદાન થવાનું છે, તેથી તેમનું (રાજ્યપાલ) ત્યાં જવું આદર્શ આચારસંહિતા હેઠળ ખોટું છે.
આ પણ વાંચો – 100% EVM-VVPAT વેરિફિકેશનની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું – આ રીતે સિસ્ટમને નીચે લાવવાનો પ્રયાસ કરશો નહીં
કૂચ બિહાર બેઠક હવે ભાજપનો ગઢ છે
કૂચ બિહાર 2019માં રાજ્યમાં ભાજપે જીતેલી 18 બેઠકોમાંથી એક છે. જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. ત્રણ દાયકાથી વધુ સમયથી ફોરવર્ડ બ્લોકનો ગઢ હવે ભાજપનો ગઢ બની ગયો છે. 2021માં તૃણમૂલની પ્રચંડ જીત વચ્ચે તેની સાત વિધાનસભા બેઠકોમાંથી છ માં ભાજપને બહુમતી આપી હતી.
હવે ભાજપ ફરી એકવાર આ બેઠક જીતવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહ્યું છે. રાજબંશી સમાજના મતદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠક જાળવી રાખવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. પાર્ટીએ આ બેઠક પરથી તેના નિસિથ પ્રમાણિકને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ આ સમુદાયમાંથી આવે છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ સીવી આનંદા બોઝ વચ્ચેના સંબંધો ખરાબ રહ્યા છે.





