Eknath Shinde Resigns, એકનાથ શિંદે રાજીનામું : મહારાષ્ટ્રની ચૂંટણીમાં અપ્રત્યાશિત જીત બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવા અહેવાલો છે કે ભાજપ હવે તેના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસને આગળ કરવાની છે, એટલે કે આ વખતે તેમને સીએમ તરીકે તેમની તાજપોશી થશે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો એકનાથ શિંદે માટે કયા વિકલ્પો બચશે?
એકનાથ શિંદેને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા
જો એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બને તો તેમને વધુ સંતોષ ત્યારે જ થશે જ્યારે તેમને બીજું મોટું પદ આપવામાં આવશે. આવી સ્થિતિમાં જો તે કેન્દ્રીય રાજકારણમાં સક્રિય થાય છે તો તે આશ્ચર્યજનક નહીં હોય. થોડા મહિના પહેલાં ભાજપે શિવરાજસિંહ ચૌહાણને પણ મધ્ય પ્રદેશની રાજનીતિથી અલગ કરીને તેમને કૃષિ મંત્રી બનાવ્યા હતા.
એ જ રીતે સર્બાનંદ સોનોવાલને આસામનું સીએમ પદ છોડવાનું કહેવામાં આવ્યું ત્યારે પણ મોદી સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં હવે એકનાથ શિંદેને પણ મોદી સરકારમાં મોટું પદ મળી શકે છે. કોઇ એવું મંત્રાલય જે તેમના સીએમ ન બનવાના દુખને ઓછું કરે.
આ પણ વાંચો – ફડણવીસનું CM બનવું લગભગ નક્કી, ડિપ્ટી સીએમના પદ પર હશે એકનાથ શિંદે અને અજિત પવાર
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ સ્વીકારી લે
જો એકનાથ શિંદે મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાને સક્રિય રાખવા માંગતા હોય તો તેઓ ડેપ્યુટી સીએમ બનવા માટે પણ સંમત થઈ શકે છે. આ રીતે મહારાષ્ટ્રની સરકારમાં તેમની સીધી દખલગીરી રહેશે. તેઓ રાજ્યમાં રહીને પોતાની પાર્ટીને મજબૂત કરી શકશે અને તેમના શાનદાર પ્રદર્શનના આધારે ઘણા મોટા મંત્રાલયોને પણ પોતાની પાસે રાખી શકે છે. અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે દેવેન્દ્ર ફડણવીસે પણ સીએમ પદ છોડીને ડેપ્યુટીનું પદ સ્વીકારી લીધું હતું. આવી સ્થિતિમાં જો અહમ આડે ન આવે તો ફડણવીસની સાથે શિંદે પણ મહાયુતિનું નેતૃત્વ કરી શકે છે.
નારાજ થઇને શિંદે ટેકો પાછો ખેંચી શકે છે
જો કોઈ પણ સંજોગોમાં એકનાથ શિંદે આ ત્રીજો વિકલ્પ પસંદ કરે તો નિષ્ણાતો માને છે કે તે તેમના માટે રાજકીય રીતે આત્મઘાતી સાબિત થઈ શકે છે. એક સમયે રાજ ઠાકરેએ શિવસેનાથી અલગ થઈને પોતાની હિંદુ રાજનીતિને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. આજે તેમની પાર્ટીની હાલત એવી છે કે તમામ બેઠકો પર ડિપોઝિટ જપ્ત થઇ ગઇ છે. આવી સ્થિતિમાં જો એકનાથ શિંદે ભાજપમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લે તો પણ તે સ્થિતિમાં તેમની પાસે વધુ વિકલ્પ નથી કારણ કે અન્ય સાથી પક્ષો વિના તેમની પાસે આગળ વધવા માટે પૂરતી વોટબેંક નથી. ઉદ્ધવ સાથે ફરી હાથ મિલાવવાનો સવાલ જ પેદા થતો નથી.